સટ્ટાના નાણાનો ઉપયોગ આતંકવાદને પોષવા થાય છે : પોલીસ
પોલીસે કોર્ટને સટ્ટાકીય કામકાજના કદ વિશે માહિતી આપી છે અને સટ્ટાનું સામ્રાજ્ય સેંકડો વેપારીઓ અને બિઝનેસમેન સુધી પ્રસરેલું છે. આઈપીએલ સિઝન દરમિયાન સટ્ટાકીય કામકાજમાં દરરોજ હજારો કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે.
મુંબઈની એક અદાલતમાં રજૂ કરેલા લેખિત નિવેદનમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને વિગતવાર સમજ આપી હતી, જેમ કે હવાલા નેટવર્ક દ્વારા દુબઈથી રૂટ થતા ગેરકાયદે સટ્ટામાં કેવી રીતે આવક મળે છે? અને આ આવક પાકિસ્તાન કેવી રીતે પહોંચે છે? તેની સમજ આપી હતી. પાકિસ્તાનમાં આ રકમનો કદાચ આતંકવાદી સંગઠનોને નાણાકીય ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગ કરાતો હોવાનું મુંબઈ પોલીસે જણાવ્યું હતું.
"જો અમને તપાસ કરવાની તક આપવામાં આવે તો અમે આ કનેક્શન બહાર લાવી શકીશું. પાકિસ્તાનથી સંચાલિત થતા 30 ટેલિફોન નંબરની એક યાદી અમારી પાસે છે અને આ પૈકીની ઘણી લાઈન આતંકવાદીઓ અથવા આતંકી સંગઠનો દ્વારા વપરાતી હોવાની શંકા છે. અમને આ મામલે વધુ તપાસ કરવાની આવશ્યક્તા છે" એવું પોલીસે જણાવ્યું હતું.
પાછલા સપ્તાહે પ્રકાશમાં આવેલા સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં રોજ નિતનવા ખુલાસા થઈ રહ્યા છે અને આ કૌભાંડમાં જાણીતા ક્રિકેટરો, આઈપીએલ ટીમ માલિકો, બુકીઓ અને બોલિવૂડની નાની-મોટી હસ્તીઓ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. કોર્ટ સમક્ષ મુંબઈ પોલીસે રજૂ કરેલા ઉપરોક્ત નિવેદનમાં પોલીસે સટ્ટાના તાર આતંકી સંગઠનો અને પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો દાવો કરતાં આ કૌભાંડની ગંભીરતા અનેકગણી વધી ગઈ છે.