અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગસ્ટ સુધી ચાલશે
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023 19 નવેમ્બર 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત SSG-2023માં ફેઝ-2 અંતર્ગત ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત સ્થિતિને ટકાવી રાખવાની કામગીરી સહિત ઘન કચરા વ્યવસ્થાપન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાની સાથે સાર્વત્રિક રીતે ગામ સ્વચ્છ બને અને ODF PLUS દરજ્જો મેળવે તે માટે સૂચન કરવામાં આવ્યું છે.
આ અન્વયે અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણ આગામી 25 ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે. આ સર્વેમાં ભારત સરકાર દ્વારા નિયુક્ત કરેલી એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં નિયત માપદંડોને આધારે સ્વચ્છતાના સ્તરનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરાશે અને આ સર્વેક્ષણમાં ગ્રામ્ય સ્તરે, કૌટુંબિક સ્તરે અને જાહેર સ્તરે મૂલ્યાંકન કરવામાં આવનાર છે.

અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-2 હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
આ સર્વેક્ષણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, શાળા, ગ્રામ પંચાયત કચેરી અને જાહેર સ્થળોએ ટીમ દ્વારા મુલાકાત લઈ સર્વેની કામગીરી કરવામાં આવશે. ઘન કચરાનું વ્યસ્થાપન, પ્રવાહી કચરાનું વ્યસ્થાપન, માનવમળ વ્યસ્થાપન, સેનિટેશન અંગે જાગૃતિ, ઓડીએફ પ્લસ મોડેલ ગામ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
આ સાથે સંપૂર્ણ સ્વચ્છતા માટેના આંદોલનમાં જોડાવા અને ગામને ઓડીએફ પ્લસ મોડેલ ગામ બનાવવા માટે ગ્રામજનોએ પોતાનું આંગણું, ફળિયું અને ગામ સ્વચ્છ રાખી સ્વચ્છતા માટે સહયોગ આપવા, નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
