સુકમા હુમલા પાછળનું કારણ નક્સલી મહિલા વિરુદ્ધ જાતીય હિંસા?
છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલો કરનાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદ) દ્વારા એક ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં સુકામા હુમલાનું કારણ કહ્યું છે.
છત્તીસગઢના સુકમામાં થયેલા નક્સલી હુમલામાં સીઆરપીએફના 25 જવાનો શહીદ થઇ ગયા. આ હુમલો કરનાર નક્સલી સંગઠને આ હુમલાનું કારણ રજૂ કર્યું છે. આ સંગઠન તરફથી એક ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો મહિલાઓની વિરુદ્ધ કરવામાં આવતી જાતીય હિંસા માટે કરવામાં આવ્યો છે. સંગઠનના પ્રવક્તા વિકલ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે અમારો આ હુમલો સરકાર અને સુરક્ષાબળો વિરુદ્ધ એક જવાબ છે. અને આગળ પણ અમે આવા હુમલા કરતા રહીશું.
ઓડિયોમાં જણાવ્યું છે કે દલિત જાતીની મહિલા સાથે જે યૌન હિંસા કરવામાં આવી રહી છે તેના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો છે. વિકલ્પનું કહેવું હતું કે સુરક્ષાદળો દ્વારા મહિલાઓની આપત્તિજનક તસવીરો લેવામાં આવી હતી અને લોકોમાં શેર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલા રોડ પ્રોજેક્ટની પણ વાત કરવામાં આવી હતી. અને કહ્યું હતું તે પણ આ હુમલાનું મુખ્ય કારણ છે. વિકલ્પે સરકારના આ પ્રોજેક્ટને પ્રાકૃતિક સંસાધનો સાથેની લૂંટપાટ ગણાવ્યું હતું.
શબ સાથે છેડછાડ
જો કે વધુમાં આ ઓડિયોમાં જણાવ્યું હતું કે અમુક મીડિયામાં ખબર આવી હતી કે શબોને વિકૃત કરવામાં આવ્યા હતા. જે ખોટા સમાચાર છે. તેમણે કહ્યું કે નક્સલી કદી પણ જવાનોના શબની સાથે આવું નથી કરતા. તેમણે કહ્યું કે સુરક્ષા જવાનો તેમના દુશ્મન નથી. પણ આ જવાનો સરકાર અને જનતા વિરોધી કાર્યક્રમનો ભાગ બની સમાજિક કલ્યાણના રસ્તામાં અડચણ ઊભી કરી રહ્યા છે. સાથે જ તેમણે જવાનો સરકારી નોકરી છોડી સમાજ માટે લડવા આહ્વાહન કર્યું હતું.