ઉમર ખાલિદ જેલમાંથી છૂંટશે કે કેમ? આજે સુપ્રીમ ફેંસલો સંભળાવશે
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ૨૦૨૦માં થયેલી ગંભીર હિંસાના કથિત કાવતરાના કેસમાં આજે એક મહત્વપૂર્ણ વળાંક આવવાનો છે. અગ્રણી વિદ્યાર્થી કાર્યકર્તા ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે તેમને જામીન મળશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય આપશે.

જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચ આજે આ અત્યંત અપેક્ષિત કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. ૧૦ ડિસેમ્બરે લાંબી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી પોલીસે આરોપીઓને હિંસાના મુખ્ય સૂત્રધાર ગણાવી UAPA જેવા કડક કાયદા હેઠળ તેમની મુક્તિનો સખત વિરોધ કર્યો છે. આ કેસ પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
ઉમર ખાલિદની ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે શરજીલ ઈમામને દિલ્હીમાં હિંસા ફાટી નીકળ્યાના ઠીક પહેલા ૨૮ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જેલમાં પૂરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા આ આરોપીઓએ વારંવાર દલીલ કરી છે કે તપાસ એજન્સીઓ જાણી જોઈને નવા ધરપકડો અને પૂરક ચાર્જશીટ દાખલ કરીને કેસને લંબાવી રહી છે.
બચાવ પક્ષનો દાવો છે કે ટ્રાયલ વિના આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવું એ તેમના મૌલિક અધિકારોનું હનન છે. આ મુદ્દે ન્યાયિક પ્રક્રિયામાં સતત વિલંબ સામે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જે વ્યક્તિગત સ્વતંત્રતા અને કાયદાના શાસનના સિદ્ધાંતો સાથે સંકળાયેલી છે.
ફેબ્રુઆરી ૨૦૨૦માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરોધી દેખાવો વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ હિંસામાં ૫૩ લોકોના જીવ ગયા હતા અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું. દિલ્હી પોલીસનો દાવો છે કે આ હિંસા અકસ્માત ન હતી, પરંતુ ઉમર ખાલિદ, શરજીલ ઈમામ અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા રચવામાં આવેલું એક સંગઠિત કાવતરું હતું.












Click it and Unblock the Notifications
