મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો SCનો ઈનકાર, બળવાખોર ધારાસભ્યો પાસે ખુલ્લા છે વિકલ્પ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે સરકારને મોટો ઝટકો આપ્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે સરકારને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, ઉદ્ધવ ઠાકરે વતી કહેવામાં આવ્યુ હતુ કે અત્યારે ફ્લોર ટેસ્ટ ન કરાવવામાં આવે અને તેની સામે વચગાળાનો આદેશ જાહેર કરવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ફ્લોર ટેસ્ટ સામે વચગાળાના આદેશ માટેની અરજી વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત દ્વારા દાખલ કરવામાં આવી હતી. અનિલ ચૌધરી અને સુનીલ પ્રભુ વતી કામત કોર્ટમાં હાજર થયા હતા.
કોર્ટમાં દેવદત્ત કામતે ફ્લોર ટેસ્ટ સામે વચગાળાનો આદેશ પસાર કરવા માટે બેંચને અપીલ કરી હતી. જસ્ટિસ સૂર્યકાન્ત અને જેપી પારડીવાલાએ 27 જૂને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને 12 જુલાઈ સુધીમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યુ હતુ. ડેપ્યુટી સ્પીકરે આ ધારાસભ્યોને નોટિસ પાઠવી હતી અને 27 જૂન સુધીમાં તેમનો જવાબ માંગ્યો હતો. જેની સામે ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના પર સુનાવણી કરતા કોર્ટે બળવાખોર ધારાસભ્યોને રાહત આપી હતી. આ કેસની આગામી સુનાવણી 11 જુલાઈએ થશે. બેન્ચે રાજ્ય સરકાર તરફથી ખાતરી માંગી હતી કે 39 ધારાસભ્યો કે જેઓ હાલમાં ગુવાહાટીની હોટલમાં રોકાયા છે તેમના જીવન અને સંપત્તિને કોઈ નુકસાન નહિ થાય.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કામતે કોર્ટને વિનંતી કરી હતી કે જ્યાં સુધી આ બાબતનો નિર્ણય ન આવે ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ ન કરાવવા અને આ અંગે વચગાળાનો આદેશ જાહેર કરવામાં આવે. જેના પર કોર્ટે કહ્યુ કે શું આપણે કલ્પનાના આધારે નિર્ણય આપી શકીએ. કામતે કહ્યુ કે અમે માનીએ છીએ કે આ ધારાસભ્યો ફ્લોર ટેસ્ટની માંગ કરશે. જે યથાસ્થિતિ બદલશે. ખંડપીઠે કહ્યુ કે જો કંઈ ખોટું થાય તો કોર્ટના દરવાજા ખુલ્લા છે.
તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે અને તેમની સાથે રહેલા બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ડેપ્યુટી સ્પીકરે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા નોટિસ જાહેર કરી હતી. બળવાખોર ધારાસભ્યોએ કહ્યુ કે ડેપ્યુટી સ્પીકરને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૂ કરવાનો અધિકાર નથી. વરિષ્ઠ વકીલ નીર કિશન કૌલે બંધારણને ટાંકીને તેને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ. તેમણે 2016માં બંધારણીય બેંચ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો.