જોશીમઠ મુદ્દે સૂનાવણી કરવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, જાણો શું કહ્યું?
જોશીમઠની મુશ્કેલીને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા કહ્યું છે.
નવી દિલ્હી : જોશીમઠમાં ધસી રહેલી જમીનને કારણે સ્થાનિકો અને તંત્રમાં ભયનો માહોલ છે. હાલમાં જ ઓલીમાં રોપવેમાં તિરાડો દેખાતા રોપ વે બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે હવે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જોશીમઠની મુશ્કેલીને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા કહ્યું છે. સૂનાવણી દરમિયાન ઉત્તરાખંડ સરકારે પણ જણાવ્યુ કે હાઈકોર્ટમાં સૂનાવણી થઇ રહી છે.
અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ પહેલાથી જ આ મુદ્દે સુનાવણી કરી રહી છે, અરજદાર ત્યાં પોતાની વાત રાખે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જોશીમઠના લોકોના પુનઃવસનની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે અરજીમાં ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની પણ માંગ કરી હતી. આ અરજીમાં તપોવન-વિષ્ણુગઢ પાવર પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ હતી. સૂનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, 12 જાન્યુઆરીએ હાઈકોર્ટે આ મામલે આદેશો આપ્યા છે. હાઈકોર્ટે નિષ્ણાત સમિતિની રચના પર જવાબ માંગ્યો છે. સરકાર અને એનટીપીસીને બાંધકામ રોકવા માટે કહ્યું છે. અમને લાગે છે કે અરજદારે પોતાનો મુદ્દો ત્યાં જ રાખવો જોઈએ.
અરજદાર તરફથી હાજર એડવોકેટ સુશીલ જૈન અને પીએન મિશ્રાએ વિનંતી કરી કે સુપ્રીમ કોર્ટે તેમની અરજી સાંભળવી જોઈએ. જો કે ચીફ જસ્ટિસે કહ્યું કે તમે પુનર્વસન સહિતની જે માંગણીઓ મૂકી છે તેના માટે તમે હાઈકોર્ટમાં અરજી કરી શકો છો. અમે હાઈકોર્ટને વિનંતી કરીશું કે જો તમે અરજી દાખલ કરશો તો તેની સુનાવણી જલ્દી કરે.
અહીં તમને જણાવી દઈએ કે, જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે દિવાલોમાં તિરાડો પડી રહી છે. જોશીમઠમાં જમીન ધીમે ધીમે ધસી રહી છે. ઘરો અને રસ્તાઓમાં મોટી તિરાડો દેખાઈ રહી છે. અત્યાર સુધી જોશીમઠમાંથી સેંકડો પરિવારોને રાહત શિબિરોમાં ખસેડાયા છે.