‘આપ’ની ઘટી લોકપ્રિયતા, મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના રહેશે આગળ
નવી દિલ્હી, 4 માર્ચઃ દેશભરમાં ભાજપના કેસરિયાની લહેર જોવા મળી રહી છે અને આ લહેરમાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલની પાર્ટીને પણ ખાસું એવું નુક્સાન લોકસભા ચૂંટણીમાં થશે તે જોવા મળી રહ્યું છે. આઇબીએન સેવન માટે સીએસડીએસ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સર્વે દિલ્હી અને મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની વાત કરીએ ભાજપ વિપક્ષી સંગઠન કોંગ્રેસ એનસીપીને ભારે પડી શકે છે, જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ટક્કરમાં ભાજપ આગળ હોવાનું પણ આ સર્વેથી ફલિત થાય છે.
સર્વે અનુસાર દિલ્હીમાં જો અત્યારે ચૂંટણી હાથ ધરવામાં આવે તો ભાજપને ફાયદો થઇ શકે છે. ભાજપને 36 ટકા મત મળી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 35 અને કોંગ્રેસને 22 ટકા મત મળતા જોવા મળી રહ્યાં છે. દિલ્હીમાં બેઠકના આધારે જોઇએ તો દિલ્હીમાં સાત બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 2થી 4 બેઠકો મળી શકે છે અને ભાજપને પણ 2થી 4 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 0થી 2 બેઠક જ મળશે તેવું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
દિલ્હી-એનસીઆર, ઉત્તર ભારત અને શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ત્રીજી શક્તિ બની ચુકી છે. અનેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ બન્નેનો રાજકીય ખેલ બગાડી શકે છે. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ્રાચારને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવી ચુકી છે. પહેલા આણ આદમી પાર્ટીના ઉદયને કોંગ્રેસ અને ભાજપ હળવાશથી લઇ રહ્યાં હતાં, પરંતુ દિલ્હીમાં ‘આપ'ની જીત બાદ તેની રાજકીય મહત્વકાંક્ષા બન્ને પાર્ટીઓ માટે ચિંતાનો વિષય બની ચુકી છે.

‘આપ'ના વોટમાં 13 ટકાનો ઘટાડો
દિલ્હીમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં 10 મોટી વાતો સામે આવી છે, જે અનુસાર ભાજપના વોટમાં 6 ટકાનો વધારો થયો છે, જ્યારે ‘આપ'ના વોટમાં 13 ટકાનો ઘટાડો નોંધાઇ શકે છે. કોંગ્રેસને થોડોક ફાયદો થતો જોવા મળી રહ્યો છે. દરેક મોરચે ‘આપ'ની લોકપ્રિયતામાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેજરીવાલની પ્રાથમિકતા લોકસભા ચૂંટણી
સર્વે અનુસાર યુવાઓ વચ્ચે ‘આપ'ની લોકપ્રિયતાને સૌથી મોટો ઝટકો પહોંચી રહ્યો છે, જો કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આપ સૌથી આગળ છે. વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને વધુ નુક્સાન થઇ રહ્યું છે. મોટા ભાગના લોકો માને છે કે કેજરીવાલે રાજીનામું આપવું જોઇતું નહોતું. દિલ્હીના લોકો મોદીના બદલે કેજરીવાલને પીએમ તરીકે જોવા માગે છે, લોકો એવું પણ માની રહ્યાં છે કે, કેજરીવાલની પ્રાથમિકતા દિલ્હી નહીં પરંતુ લોકસભા ચૂંટણી છે.

મહારાષ્ટ્રમાં જનતાનો મિજાજ
જો અત્યારે ચૂંટણી હાથ ધરવામાં આવે તે મહારાષ્ટ્રમાં જનતાનો મિજાજ કેવો રહેશે તે અંગે કરવામાં આવેલા સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં અત્યારે ચૂંટણી કરવામાં આવે તો યુપીએને 16-22 બેઠકો મળી શકે છે, અન્યને 1-5 બેઠક મળી શકે છે. યુપીએને 36 ટકા તો એનડીએને 42 ટકા જ્યારે આમ આદમી પાર્ટીને 5 ટકા મત મળવાના અણસાર છે. બાકી મત બીએસપી, એમએનએસ તથા અન્ય ખાતામાં આવશે.

મહારાષ્ટ્રની જનતા મોદીને પીએમ તરીકે જોવા માગે છે
સર્વે અનુસાર મહારાષ્ટ્રની જનતા મોદીને પીએમ તરીકે જોવા માગે છે. એક મહિના પહેલા જાન્યુઆરીમાં થયેલા સર્વે અનુસાર 40 ટકા લોકો મોદીને પીએમ તરીકે જોવા માગતા હતા, જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીને 14 ટકા પીએમ તરીકે જોવા માગતા હતા, પરંતુ હાલ તેમાં 2 ટકાનો વધારો થયો છે અને રાહુલ ગાંધીને 16 ટકા લોકો હાલ પીએમ તરીકે જોવા માગે છે. સોનિયા ગાંધીને 6, અરવિંદ કેજરીવાલને 4 અને શરદ પવારને પણ 4 ટકા લોકો પીએમ તરીકે જોવા માગે છે.

35 ટકા લોકો પાર્ટીને જોઇને મત આપશે
લોકસભા ચૂંટણીમાં 43 ટકા લોકો ઉમેદવાર જોઇને મત આપવા માગે છે, જ્યારે 35 ટકા લોકો પાર્ટીને જોઇને મત આપવા માગે છે. 12 ટકા લોકો પીએમ પદના ઉમેદવારને જોઇને મત આપવાનું પસંદ કરી રહ્યાં છે. સર્વેમાં મહારાષ્ટ્ર સરકારના કામકાજથી 45 ટકા લોકો સંતુષ્ટ છે જ્યારે 50 ટકા લોકો અસંતુષ્ટ છે.












Click it and Unblock the Notifications
