સુષ્મા સ્વરાજને મળી શકે છે મોદીની ખુરશી!
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: જો ભાજપ-સંઘની નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની યોજના સૌહાર્દપૂર્ણ માહોલમાં તૈયાર થઇ ગઇ તો લાલકૃષ્ણ અડવાણી કેંપને ખુશ કરવા માટે બાંધછોડની નીતિ અપનાવી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ દ્વાર સંઘ-ભાજપ સમન્વય બેઠકમાં હાલની રાજકિય પરિસ્થિતીને ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન જાહેર કરવાની જરૂરિયાત પર દબાણ બનાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલા પ્રેજેન્ટેશનમાં એ પણ નક્કી કર્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ પણ ગુજરાતના મુખ્યમંત્રી બની રહેશે, પરંતુ કેન્દ્રીય ચુંટણી અભિયાન સમિતિના ચેરમેનનું પદ તેમને છોડવું પડશે. આ મુદ્દે લગભગ સહમતિ બની ગઇ છે. ત્યારબાદ નરેન્દ્ર મોદી દ્વારા ત્યાગવામાં આવેલી ખુરશીના બે દાવેદાર સામે છે, જેમાં એક છે નરેન્દ્ર મોદીના ખાસ અને બીજા વિરોધી.
લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી વચ્ચે આ ખુરશી વચ્ચે રસાકસી થઇ શકે છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહે પોતે આગળ આવીને સુષ્મા સ્વરાજનું નામ ચુંટણી અભિયાન સમિતિના ચેરમેનના પદ માટે પ્રસ્તાવિત કર્યું છે, જેથી લાલકૃષ્ણ અડવાણી જૂથના વિરોધની ધારને બુઠ્ઠી કરી શકાય.
આ અંગે નરેન્દ્ર મોદીને પણ વાંધો નથી, કારણ કે હાલમાં તેમની સામે પાર્ટીના બધા જૂથોને સાથે લઇને ચાલવાનો પડકાર છે, પરંતુ ચુંટણી બાદ સરકાર બનવાની સ્થિતીમાં ચુંટણી અભિયાન સમિતિની કમાન સંભાળનાર નેતાનું મહત્વ નિશ્વિતપણે બીજા કે ત્રીજા નંબરનું હોઇ શકે છે.