પટણા બ્લાસ્ટ : સંદિગ્ધ એનુલ અંસારીનું હોસ્પિટલમાં મોત, તપાસને આંચકો
પટણા રેલવે સ્ટેશનના ટોઇલેટમાં થયેલા વિસ્ફોટમાં એનુલ ગંભીર રીતે ઘવાયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ગતો. પહેલા તેને પીડિત માનવામાં આવી રહ્યો હતો. પોલીસને તેની પાસેથી મહત્વની માહિતી મળે તેની આશા હતી.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર વિસ્ફોટોના કાવતરામાં એનુલ પણ સામેલ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રાંચી શહેર પાસે જોડાયેલા ધુર્વા વિસ્તારની સીઠિયા વસતીના એક ઘરમાં પટણા વિસ્ફોટોની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઇ હોવાનું કહેવામાં આવે છે.
વિસ્ફોટો બાદ પકડાયેલા આતંકવાદીઓ પાસેથી પ્રાપ્ત સૂત્રોની ચકાસણી કરતા ઝારખંડ પોલીસ આ વસતી સુધી પહોંચી હતી. પોલીસે તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે ઇન્ડિયન મુજાહિદ્દીનના ચાર છોકરા, જેમાંથી એક એનુલનો પણ સમાવેશ થયો હતો, 26 ઓક્ટોબરની સાંજે ઘરેથી નિકળ્યા હતા. વસતીના લોકોને તેમણે કોલકત્તા જવાની વાત કહી હતી. આ ટોળકીમાં બાકીના આતંકવાદીઓના નામ હતા ઇંતિયાઝ અંસારી, મોમિન અંસારી અને તૌફિક અંસારીનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે 27 ઓક્ટોબરે પટણામાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી પહેલા થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટોને કારણે 83 લોકો ઘાયલ થયા હતા.