અમદાવાદ જિલ્લામાં આજથી 27 થી 27 એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહની ઉજવણી કરાશે
જનતાની સમસ્યાઓ અને પ્રશ્નો ઝડપી, સરળતાથી અને સકારાત્મક રીતે ઉકેલ આવે એ અને રાજયના નાગરિકો રાજય પ્રશાસનને પોતાની સમસ્યાઓ સરળતાથી રજૂ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ ચલાવવામાં આવે છે. 24 એપ્રિલે આ કાર્યક્રમને 20 વર્ષ પુરા થયા છે અને 21માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી. કે. એ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં વટવા, ઘાટલોડીયા, ધોલેરા ,સાબરમતી, બાવળા, દસક્રોઈ, સાણંદ, મણીનગર, ધોળકા, દેત્રોજ, અસારવા, વિરમગામ, ધંધુકા, માંડલ તથા વેજલપુર વિસ્તારોને આવરી લેતી કુલ 18845 અરજીઓ મળી છે અને તે પૈકી 17127 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલેકે 91 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ માટે 6336 અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા છે. 1718 અરજીઓનો એવી છે કે જેમાં નિતીવિષયક બાબતો અથવા કાયદા સંબંધી બાબતોને કારણે પડતર છે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 10746 કુલ અરજીઓ પૈકી 10740 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલે કે લગભગ 100 ટકા અરજીઓનો નિકાલ કરાયો છે. આ માટે 4834 અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા છે.
નાગરિકોના જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સ્થાનિક પ્રશ્નો કે ફરિયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે સ્વાગત કાર્યક્રમ ગ્રામ, તાલુકા,જિલ્લા અને રાજય એમ ચાર તબક્કે કાર્યરત કરવામાં આવ્યો છે. આ તમામ પ્લેટફોર્મ પર મળેલ પ્રશ્નો કે ફરિયાદોમાં થયેલી કાર્યવાહી કે કાર્યની પ્રગતિની અદ્યતન વિગતો ઓનલાઈન જોઈ શકાય એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
સ્વાગત કાર્યક્રમ એટલે કે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજીને સફળતા પૂર્વક 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને ગ્રામ્ય સ્તરે વધુ વ્યાપક બનાવવા માટે રાજય સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. નાગરિકોને કોઇ સરકારી સેવાને લગતી કોઇ ફરિયાદ હોય તો તે આ સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરી શકે છે.
સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી પોતે અરજદારોને સાંભળી તેમની સમસ્યાનું નિરાકરણ કરે છે. ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતનો પ્રારંભ 24-04-2003 ના રોજથી થયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રતિ માસના ચોથા ગુરુવારે, તાલુકા કક્ષાએ ચોથા બુધવારે રજૂઆતકર્તાને સાંભળી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. જન સેવાના આ કાર્યક્રમને યુનાઇટેડ નેશન્સ દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં 24 થી 26 એપ્રિલના રોજ તાલુકા સ્વાગત અને 27 ના રોજ જિલ્લા અને રાજય સ્વાગત કાર્યક્રમ થકી સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. અમદાવાદ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ હેઠળ યોજાનાર સ્વાગત કાર્યક્રમ માં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉકેલ કરવામાં આવશે. તાલુકા કક્ષાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએથી નિરાકરણ ના પામેલી અરજીઓને તબક્કાવાર ક્રમશઃ તાલુકા અને જિલ્લાએ લઇ જવામાં આવશે.












Click it and Unblock the Notifications
