શ્રીલંકામાં અલગ તમિલ ઇલમ રચવા તમિલનાડુની માંગણી
કેન્દ્રને અનુરોધ કરતો ઠરાવ બુધવારે તમિલનાડુમાં અન્નાદ્રમુકની સરકારે પાસ કર્યો છે. તેમાં જણાવાયું છે કે શ્રીલંકામાં રહેતા તમિલો તેમજ અન્ય દેશોમાં વસતા શ્રીલંકન મૂળના તમિલોને પણ આ જનમતમાં સામેલ કરવા જોઈએ.
આમ, કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર ઉપર કરૂણાનિધિ બાદ તમિલ નાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ જોરદાર પ્રેશર ઊભું કર્યું છે. શ્રીલંકામાં તમિલો પર કરાતા અત્યાચારો વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો છે.
આ ઉપરાંત શ્રીલંકાના નૌસૈનિકો તરફથી ભારતીય માછીમારો પર વધતા જતી હુમલાઓની ઘટનાઓને પગલે ચિંતા વ્યક્ત કરતા તમિલનાડુ સરકારે કેન્દ્રને જણાવ્યું છે કે આ સમગ્ર બાબતને અંકુશમાં લેવા માટે તેમણે રાજદ્વારી પહેલ કરવી જોઇએ. આ સાથે તમિલનાડુએ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે 1974ની એ સમજુતીનો અંત લાવવામાં આવે જે અંતર્ગત કચ્ચાતીવુ ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો.
બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિથાએ એવું પણ સંભળાવી દીધું છે કે જો આઇપીએલમાં શ્રીલંકાના ખેલાડીઓ રમશે તો રાજ્યમાં આઇપીએલની એક પણ મેચ રમવા દેવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
તેમણે તમિળનાડુ વિધાનસભામાં મહત્વની ચર્ચા દરમિયાન એક પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું કે જો યુપીએ સરકાર શ્રીલંકા સંબંધિત માંગ પૂરી કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની સરકાર આ અંગ કાયદાકીય ઉપાય હાથ ધરવા માટે મજબૂર બનશે.
જયલલિથાએ એમ પણ જણાવ્યું કે અમે ભારતીય માછીમારો પર શ્રીલંકાના નૌસૈનિકો દ્વારા થઇ રહેલા હુમલાની નિંદા કરીએ છીએ. સાથે તેમણે જણાવ્યું કે શ્રીલંકાને ક્ચ્ચાતીવું આપ્યા બાદ શ્રીલંકાના સૈનિકો તરફથી ભારતીય માછીમારો પર હુમલાની સંખ્યા વધી ગઇ છે. શ્રીલંકા મૂળભૂત અધિકારો સાથે સંકળાયેલી સમજુતિની અનેક બાબતોને માની રહ્યું નથી.