'સુંદર નઝારો છે, મહિલાઓ હિજાબ સળગાવી રહી છે, પોતાના વાળ કાપી...', ઈરાન મામલે બોલી તસ્લીમા
બાંગ્લાદેશની નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને પણ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યુ છે કે તે જોઈને ખુશ છે કે મહિલાઓ હિજાબની વિરુદ્ધમાં આવી રહી છે.
નવી દિલ્લીઃ હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલી મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં વિરોધ ફાટી નીકળ્યો છે. મહસા અમીની, 22, 13 સપ્ટેમ્બરના રોજ તેના પરિવારને મળવા તેહરાન આવી હતી, જ્યાં હિજાબ ન પહેરવા બદલ પોલીસે તેની અટકાયત કરી હતી અને બાદમાં તેનુ મૃત્યુ થયુ હતુ. મહસા અમીનીના મોતને લઈને લોકોનો ગુસ્સો વધી રહ્યો છે અને મહિલાઓ આ મુદ્દે હિજાબ સળગાવીને અને વાળ કાપીને વિરોધ કરી રહી છે. બાંગ્લાદેશની નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને પણ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યુ છે કે તે જોઈને ખુશ છે કે મહિલાઓ હિજાબની વિરુદ્ધમાં આવી રહી છે.
'મહિલાઓના દમન, ઉત્પીડનનુ પ્રતીક છે હિજાબ'
ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર તસ્લીમા નસરીને ઈરાનના મુદ્દા પર કહ્યુ, 'હું ખૂબ ખુશ છુ. આ ઘટનાના વિરોધમાં મહિલાઓ તેમના હિજાબ સળગાવી રહી છે અને તેમના વાળ કાપી રહી છે એ જોવુ ખરેખર સુંદર છે. આ મામલો સમગ્ર વિશ્વ અને તમામ મુસ્લિમ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે જાણીએ છીએ કે હિજાબ મહિલાઓના દમન, ઉત્પીડન અને અપમાનનુ પ્રતીક છે.
દુનિયાભરમાં ઉઠ્યો હિજાબ સામે અવાજ
તસ્લીમા નસરીને આગળ કહ્યુ, 'હું કહુ છુ કે આ હિજાબ પ્રથા વિરુદ્ધ આખી દુનિયામાં અવાજ ઉઠાવવો જોઈએ અને દુનિયાભરની મહિલાઓએ પોતાના હિજાબ સળગાવવા જોઈએ. હું માનુ છુ કે જો કોઈ મહિલા હિજાબ પહેરવા માંગતી હોય તો તેને પહેરવાની છૂટ હોવી જોઈએ પરંતુ જો કોઈ મહિલા હિજાબ પહેરવા ન ઈચ્છતી હોય તો તે તેનો અધિકાર છે અને તેને આ અધિકાર મળવો જોઈએ.
'તેમનુ બ્રેઈનવૉશ કરવામાં આવે છે'
હિજાબ પ્રણાલીનો વિરોધ કરતાં તસ્લીમા નસરીને કહ્યુ હતુ કે, 'મોટાભાગના કિસ્સાઓમાં હિજાબ ચૉઈસ નથી. કૌટુંબિક દબાણ, ડર અને ઘરનુ વાતાવરણ સ્ત્રીઓની માનસિક સ્થિતિ એવી બનાવે છે કે તેઓ હિજાબ પહેરે છે. ઘણી સ્ત્રીઓ હિજાબ પહેરે છે કારણ કે તેમને આવુ કરવાની ફરજ પાડવામાં આવે છે. વળી, કેટલીક મહિલાઓ એટલા માટે પણ હિજાબ પહેરે છે કારણ કે આ માટે તેમનુ બ્રેઈનવોશ કરવામાં આવે છે.