Telangana Election : રાહુલ ગાંધી તેલંગાણા આવે છે તો બિરયાની અને પાન ખાય છે, BRS નેતાનો રાહુલ ગાંધી પર પ્રહાર
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હવે તેલંગાણામાં મતદાન બાકી રહ્યું છે. અહીં 30 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે નેતાઓના વાર-પલટવાર તેજ છે.
તેલંગાણામાં કોંગ્રેસ અને સત્તાધારી બીઆરએસ વચ્ચે સીધો મુકાબલો છે ત્યારે બીઆરએસ મહિલા નેતા અને એમએલસી કે કવિતાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.

કે કવિતાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી અમારા મહેમાન છે. તે અહીં આવે છે, બિરયાની, પાન ખાય છે. ગાંધી પરિવારે હંમેશા તેલંગાણાના લોકો સાથે દગો કર્યો છે. જ્યારે ઈન્દિરાજીને તેલંગાણાની જરૂર હતી ત્યારે તેલંગાણાના લોકોએ હંમેશા સાથ આપ્યો. પરિવારને સમર્થન આપ્યું, પરંતુ ગાંધી પરિવારે ક્યારેય તેલંગાણાને સમર્થન આપ્યું નહીં. ગાંધી પરિવારે હંમેશા તેલંગાણા સાથે દગો કર્યો છે.
તેણીએ કહ્યું કે, અત્યારે તે માત્ર કેસીઆરને દોષ આપવા માંગે છે. અમે હંમેશા ગાંધી પરિવારને ટેકો આપ્યો છે, પરંતુ તેમણે ક્યારેય અમારો સાથ આપ્યો નથી.
જણાવી દઈએ કે, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે, બીજેપી અને બીઆરએસ આ ચૂંટણીમાં સાથે મળીને લડી રહ્યા છે. આ મુદ્દે કે કવિતાએ કહ્યું કે, ઈડીનો કેસ રાહુલજી અને સોનિયાજી વિરુદ્ધ છે, તો તેમની ધરપકડ કેમ કરવામાં ન આવી? તો હું વિચારી શકું કે બીજેપી અને કોંગ્રેસની મિલીભગત છે?
આ સિવાય કે કવિતાએ બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, અમે અમિત શાહજીને પ્રેમથી તેલંગાણામાં જુમલાના રાજા કહીએ છીએ. બીજેપી શાસિત કોઈપણ રાજ્યમાં દરેક ઘરમાં પાણી પહોંચી ગયું છે? અમારી સરકારે તેલંગાણામાં આ કરી બતાવ્યું છે.












Click it and Unblock the Notifications
