બોર્ડર પર તણાવ, જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન
સીમા પર પાકિસ્તાને ફરી કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં પાકિસ્તાને કર્યો હુમલો આ અંગે વધુ વાંચો અહીં...
છેલ્લા એક અઠવાડિયાથી સીમા પર ખૂબ તણાવગ્રસ્ત પરિસ્થિતિ જોવા મળી રહી છે. બુધવારે સવારે ફરી એકવાર સીમા પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરના બાબા ખોરીમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પણ આનો સામે જડબાતોડ જવાબ વાળ્યો હતો. ગત અઠવાડિયે જ આવી ઘટનામાં ભારતના ત્રણ જવાનો શહીદ થયા હતા. એ પછી સોમવારે(25 ડિસેમ્બર,2017) ભારતીય સેનાએ બદલો વાળતા પાકિસ્તાનના ત્રણ જવાનોને ઠાર માર્યા હતા.
ઇસ્લામાબાદમાં પૂર્વ ભારતીય નૌસૈનિક કુલભૂષણ જાધવ પોતાના માતા અને પત્ની સાથે મુલાકાત કરી હતી, ત્યારે સીમા પર પાકિસ્તાન અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઇ હતી. પાકિસ્તાને આ પહેલાં ભારતના ત્રણ જવાનોને શહીદ કર્યા હતા, એ પછી જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ એલઓસીની પાર 250 મીટર આગળ જઇ પાકિસ્તાનના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણનું મૃત્યુ થયું હતું. જો કે, સૂત્રો અનુસાર, સપ્ટેમ્બર 2016માં જે રીતે ભારતે પાકિસ્તાનની સીમામાં જઇને તેમની ચોકીઓ ધ્વસ્ત કરી સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, એવું કંઇ આ વખતે નથી કર્યું.