બારામુલા કેમ્પ પર થયેલા આતંકી હુમલા સાથે જોડાયેલી 7 મહત્વની ખબર
ઉરીમાં થયેલા આતંકી હુમલાથી બહાર નથી આવી શક્યો ત્યાં જ આતંકીઓએ વધુ એક જખમ આપી દીધો. રવિવારે મોડી રાતે જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં 46મી રાષ્ટ્રીય રાયફલ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના બેઝ કેમ્પ પર આતંકીઓએ હુમલો કરી દીધો.
કોણ થયું શહીદ?
જેમાં બીએસએફની 40મી બટાલિયનના જવાન કૉંસ્ટેબલ નીતિન શહીદ થઇ ગયા તેમજ તેમના સાથી પુલવિંદરના પગમાં ગોળી વાગવાને કારણે તેમની હાલત નાજુક છે. આ મુઠભેડમાં સેનાના 3 જવાન પણ ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદીઓએ બે સમૂહોમાં 46મી રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પ પર હુમલો કર્યો, જો કે જવાનોની સતર્કતાથી આતંકીઓ બેઝ કેમ્પમાં ઘૂસી શક્યા નહોતા.
બે આતંકી ઠાર
બે આતંકી ઠાર મરાયા આ આતંકી હુમલામાં સેના, બીએસએફ અને જમ્મૂ- કાશ્મીર પોલીસની વિશેષ ફોર્સની સંયુક્ત કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા છે. સેનાના કેમ્પ પર હુમલો રવિવારે (2 ઓક્ટોબર) મોડી રાતે 10 વાગે કરવામાં આવ્યો હતો.
કેવી રીતે કર્યો હુમલો?
નોંધનીય છે કે 2 ઓક્ટોબરના રોજ રાતે 10 વાગે આતંકવાદીઓ કેમ્પમાં ઘુસવાની કોશિશ કરી હતી. અને તેઓ મુખ્ય દ્વારથી આગળ લગાવેલી બેરિકોટિંગને પણ પાર કરી ગયા હતા પરંતુ તેઓ બીજા ગેટ પર પહોંચે તે પહેલા જ ત્યાં તૈનાત જવાનોએ તેમને જોઇ લીધા અને તરત જ ગ્રેનેડ ફેંકવાના શરૂ કરી દીધા. અહીં ઘેરાયા આતંકવાદીઓ રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પમાં ઘૂસવામાં અસફળ રહેલા આતંકવાદીઓ બીએસએફના કેમ્પની આગળ વધવા લાગ્યા જે રાષ્ટ્રીય રાયફલ્સની સાથે જ જોડાયેલી છે. અહીં આતંકવાદીઓ ઘેરાઇ ગયા.
પછી શું થયું?
રાષ્ટ્રીય રાયફલ્સ અને બીએસએફના કેમ્પ પાસે એક સ્ટેડિયમ છે. જ્યારે આતંકવાદીઓ સફળ ન થઇ શક્યા તો તેઓ ત્યાં જઇને છૂપાઇ ગયા અને ત્યાંથી જ ગોળીબાર કરવા લાગ્યા. હુમલા બાદ તુરંત જ બીએસએફ ડીજી કે કે શર્માએ આ સૂચના ગ્રુહમંત્રી રાજનાથસિંહને આપી. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ભારતીય સેનાના પ્રમુખદલબીરસિંહ સુહાગ અને બીએસએફ ડીજી કે કે શર્માએ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી અને દિલ્હીથી સતત નિર્દેશ મોકલતા રહ્યા.
સવારે સર્ચ ઓપરેશન
રાત્રે 10.30થી ચાલી રહેલો ગોળીબાર લગભગ 12.30 વાગે બંધ થયો. ત્યારબાદ સેનાએ બે આતંકવાદીઓ માર્યા ગયાની પુષ્ટિ કરી. સાથે જ એમ પણ કહ્યુ કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ત્યારબાદ સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ પરંતુ ખૂબ જ મોડી રાત હોવાને કારણે સર્ચ ઓપરેશન સ્થગિત કરવું પડ્યું જે આજે (સોમવારે)વહેલી સવારે ફરીથી શરુ કરવામાં આવ્યું જે હાલમાં પૂર્ણ થયું છે. રાત્રે લગભગ 2 વાગે સૂત્રોએ જણાવ્યું કે બચી ગયેલા 2 આતંકવાદી રૂમમાં છૂપાયા છે જેને સેનાએ ઘેરી લીધા છે. જો કે સમાચાર લખાયા સુધી સેના તરફથી આ સંબંધમાં કોઇ કાર્યવાહીની સૂચના આવી નહોતી.
સર્જીકલ સ્ટ્રાઇક બાદ હુમલો
ઉલ્લેખનીય છે કે ભારત તરફથી પાક. અધિક્રુત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઇક કર્યા બાદ સુરક્ષા એજંસીઓએ એલર્ટ જારી કરેલ હતું અને ગ્રુહમંત્રાલયે પણ બધા રાજ્યોમાં એડવાઇઝરી જારી કરીને સુરક્ષા પ્રબંધો સુનિશ્ચિત કરાવવાની વાત કહી હતી.
રાજકીય નેતાઓની પ્રતિક્રિયા
આ હુમલા બાદ જમ્મૂ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ ટ્વીટ કર્યુ કે " બારામુલાથી તેમના સાથીઓએ ફોન પર સૂચના આપી કે તેમના ક્ષેત્ર આસપાસ ભારે ફાયરિંગ થઇ રહ્યું છે. આ ક્ષેત્રના બધા લોકો માટે પ્રાર્થના.'' મોડી રાત્રે રાજ્ય સૂચના તેમજ પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ પોતાના ટ્વીટર પર લખ્યું કે " આપણા જાંબાઝો આપણને બારામૂલામાં બચાવી રહ્યા છે. આતંકવાદીઓને ઘેરામાં રાખો. ભાગવાના બધા જ રસ્તા બંધ છે.
અમારી તાકાત તમારી સાથે જ છે. જય હિંદ." સમાચાર લખાયા ત્યાં સુધી એ વાતની અધિક્રુત પુષ્ટિ હજુ થઇ શકી નથી કે કુલ કેટલા આતંકવાદીઓ હતા અને તે ક્યાંથી આવ્યા હતા. સૂત્રોની માનીએ તો આતંકવાદીઓ રાતના અંધારાનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં હતા. હુમલો કર્યા બાદ તેઓ નજીકમાં જ ઝેલમ નદીના રસ્તે ભાગવા ઇચ્છતા હતા પરંતુ સેનાએ તેમને પકડી લીધા.