દેશમાં શોકના માહોલ વચ્ચે કાશ્મીરમાં આતંકી હુમલો, 2 પોલીસ જવાન શહીદ!
આ હુમલો બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોકમાં થયો હતો. પોલીસની પેટ્રોલિંગ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કરીને આતંકીઓ નાસી છૂટ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ એસજીસીટી મોહમ્મદ સુલતાન અને સીટી ફયાઝ અહેમદને વાગી હતી.
શ્રીનગર, 10 ડિસેમ્બર : દેશના સીડીએસ જનરલ બિપિન રાવતના નિધનથી દેશ અત્યારે શોકમાં છે. આ સંજોગોમાં પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની નાપાક ગતિવિધિઓ ચાલુ છે. શુક્રવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે.
મળતી માહિતી મુજબ, આ હુમલો બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોકમાં થયો હતો. પોલીસની પેટ્રોલિંગ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કરીને આતંકીઓ નાસી છૂટ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ એસજીસીટી મોહમ્મદ સુલતાન અને સીટી ફયાઝ અહેમદને વાગી હતી. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. હુમલા બાદ સુરક્ષા દળોએ ગુલશન ચોકને ઘેરી લીધો છે અને આસપાસના વિસ્તારોમાં આતંકીઓની શોધખોળ ચાલુ છે.
આ હુમલાની માહિતી કાશ્મીર પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી પણ આપવામાં આવી છે. ટ્વીટમાં લખ્યું હતું કે, આતંકવાદીઓએ બાંદીપોરાના ગુલશન ચોક વિસ્તારમાં એક પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો છે. આ આતંકવાદી ઘટનામાં 2 પોલીસકર્મી SGCT મોહમ્મદ સુલતાન અને કોન્સ્ટેબલ ફયાઝ અહેમદ પહેલા ઘાયલ થયા હતા. બાદમાં તેઓ મૃત્યુ પામ્યા છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, હજુ દેશમાં સીડીએસ બીપીન રાવત સહિત 13 લોકોના મૃત્યુનો શોક સમ્યો નથી ત્યાં બીજા ખરાબ સમાચાર આવ્યા છે. સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ખરાબ વાતાવરણને કારણે ક્રેશ થયુ હતુ. જેમાં તેમાં સવાર 12 લોકોના મોત થયા છે.