મણિપુરમાં આતંકી હુમલો, સેનાના કર્નલ અને 3 જવાનો સહિત 6 ના મોત!
મણિપુરમાં શનિવારે સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો. આતંકવાદીઓના આ હુમલામાં ભારતીય સેનાના એક કર્નલ, તેની પત્ની અને પુત્ર અને ઓછામાં ઓછા ત્રણ અન્ય સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
ઇમ્ફાલ : મણિપુરમાં શનિવારે સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો. આતંકવાદીઓના આ હુમલામાં ભારતીય સેનાના એક કર્નલ, તેની પત્ની અને પુત્ર અને ઓછામાં ઓછા ત્રણ અન્ય સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સંરક્ષણ સૂત્રોએ આ માહિતી આપી છે. આ હુમલો વર્ષોમાં થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે. અહેવાલો અનુસાર ઘટના શનિવારે સવારે લગભગ 10 વાગ્યે મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં મ્યાનમાર સરહદ નજીક બની હતી.
સુત્રો અનુસાર, 46 આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બિપ્લબ ત્રિપાઠી શનિવારે ફોરવર્ડ કેમ્પમાં ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોનું માનિએ તો, આ હુમલા પાછળ મણિપુર સ્થિત આતંકવાદી જૂથ પીપલ્સ લિબરેશન આર્મી અથવા પીએલએનો હાથ હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે સેના અધિકારી અને તેમના પરિવારના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને પકડવા માટે કાઉન્ટર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, 46 આસામ રાઈફલ્સના કાફલા પરના કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરૂ છું, જેમાં આજે કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર સહિત કેટલાક સૈનિકોના મોત થયા છે. રાજ્ય પોલીસ અને પેરા મિલિટ્રી આતંકીઓને પકડવાના કામમાં લાગી છે. દોષિતોને સજા આપવામાં આવશે.
Strongly condemn the cowardly attack on a convoy of 46 AR which has reportedly killed few personnel including the CO & his family at CCpur today. The State forces & Para military are already on their job to track down the militants. The perpetrators will be brought to justice.
— N.Biren Singh (@NBirenSingh) November 13, 2021
ઘણા ઉત્તરપૂર્વીય રાજ્યોની જેમ મણિપુર પણ ડઝનબંધ સશસ્ત્ર જૂથોનું ઘર છે. આ પહેલા વર્ષ 2015માં મણિપુરમાં આતંકી હુમલામાં 20 જવાનો શહીદ થયા હતા.