ઠાકરે અતિ ગંભીર, મહારાષ્ટ્ર સ્તબ્ધ
મળતી માહિતી પ્રમાણે ઠાકરેએ બોલવાનું બંધ કરી દીધું છે. સૂત્રો મુજબ ઠાકરેને લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યાં છે. ઠાકરે છેલ્લાં કેટલાંક દિવસથી બીમાર હતાં અને તેમની સ્થિતિ ગંભીર થતાં મોડી રાતથી મુંબઇનાં બાન્દ્રા સ્થિતિ તેમના ઘર માતોશ્રી ખાતે શિવસૈનિકોનો જમાવડો થયો હતો. મોડી રાત્રે ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને બાલાસાહેબ માટે પ્રાર્થના કરવાનું કહીને તેમને ઘરે પાછા જવાનું કહ્યું હતું. જોકે સવારથી ફરી પાછા માતોશ્રી ખાતે શિવસૈનિકો ભેગા થઇ ગયા છે.
દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુંબઈ આવવાના હતાં, પરંતુ ઠાકરેની તબીયતના સમાચાર મળ્યાં પછી રાષ્ટ્રપતિએ પણ આજથી શરૂ થતો તેમનો બે દિવસનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ કરી દીધો છે. અમિતાભ સહિત ટોચની બોલીવૂડ હસ્તીઓએ બાલાસાહેબ માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.
ઠાકરેની સ્થિતિ ગંભીર હોવાના સમાચાર જેમ-જેમ ફેલાતા જાય છે, તેમ-તેમ લોકો માતોશ્રી ઉમટી રહ્યાં છે. આ સાથે માતોશ્રી પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. મહારાષ્ટ્રનાં ડીજીપીએ પોલીસકર્મીઓની રજા રદ કરી દીધી છે. માતોશ્રી તરફ જતાં તમામ રસ્તા બંધ કરી દેવાયા છે. રેપિડ એક્શન ફોર્સને તૈનાત કરી દેવામાં આવી છે. ઉદ્ધવે શિવસૈનિકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. ઠાકરે હાલમાં સઘન સારવાર હેઠળ છે અને ડોક્ટરોની વિશાળ ટીમ તેમને બચાવવા માટેનાં તમામ પ્રયત્નો કરી રહી છે. ઠાકરે પરિવારનાં સભ્યો, શિવસેનાનાં ટોચનાં નેતા અને બોલીવૂડ હસ્તીઓ પણ તેઓ જલદી સારા થઇ જાય તેની પ્રાર્થનાઓ કરી રહ્યા છે.