આસામ સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી કહ્યુ મિઝોરમ જવુ સલામત નથી
આસામ સરકારે એક દિવસ પહેલા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે જેમાં રાજ્યના લોકોને મિઝોરમની યાત્રા ન કરવા માટે સલાહ આપવામાં આવી છે.
ગુવાહાટીઃ આસામ અને મિઝોરમ વચ્ચે સીમા વિવાદનો મામલો શાંત થવાનુ નામ નથી લઈ રહ્યો. આસામ સરકારે એક દિવસ પહેલા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે જેમાં રાજ્યના લોકોને મિઝોરમની યાત્રા ન કરવા માટે સલાહ આપવામાં આવી છે. આસામ-મિઝોરમ સીમા પર હિંસામાં 6 પોલિસ જવાનોના મૃત્યુના 4 દિવસ પછી આસામ સરકારે એક અસામાન્ય ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી જેમાં લોકોને મિઝોરમ સલામત નથી તેવુ કહીને મિઝોરમની યાત્રા ન કરવા જણાવવામાં આવ્યુ હતુ. રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપવામાં આપવામાં આવેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યુ હતુ કે લોકોની સલામતીને જોખમાય તેવી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આસામના લોકોને મિઝોરમ યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. વળી, મિઝોરમમાં કામ કરતા આસામના લોકોને ખૂબ જ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

'સુરક્ષા કારણોસર જાહેર કરવામાં આવી ટ્રાવેલ એડવાઈઝરી'
આ ઉપરાંત નોટિસમાં કહેવામાં આવ્યુ કે સીમાવર્તી વિસ્તારોમાં હિંસક ઝડપોના ઘણા મામલા સામે આવ્યા છે અને લેટેસ્ટ ઘટનાના કારણે કછાર જિલ્લામં પોલિસકર્મીઓ અને નાગરિકો પર અંધાધૂંધ ગોળીબાર થયો છે. વળી, આ ઘટના બાદ પણ અમુક મિઝો નાગરિક સમાજ, છાત્રો અને યુવા સંગઠનો સતત આસામ રાજ્ય અને તેના લોકો સામે ભડકાઉ નિવેદનો જાહેર કરી રહ્યા છે. આસામ પોલિસ પાસે ઉપલબ્ધ વીડિયો ફૂટેજથી આ વિશ્વસનીય રીતે જાણવા મળ્યુ છે કે ઘણા નાગરિકો પાસે હથિયારો છે. ઉપરોક્ત પરિસ્થિતિને જોતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર બધા લોકો માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. મિઝોરમમાં ગૃહ સચિવ લાલબિયાકસાંગીએ કેન્દ્રને પૂર્વોત્તરના અધિક સચિવને લખેલા પત્રમાં લખ્યુ છે કે આસામ પોલિસના સશસ્ત્ર કર્મી ઢોલઈ અને હવાઈથાંગ વિસ્તારોમાં જઈ રહ્યા હતા કે જે એક આંતરરાજ્ય સીમા છે.

'બંને પક્ષોએ સૌહાર્દપૂર્ણ રીતે સીમા વિવાદને ઉકેલવો જોઈએ'
પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યુ હતુ કે વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિને જોતા આસામ દ્વારા આંતરરાજ્ય સીમા પર પોલિસની એક મોટી ટૂકડી તૈનાત કરવી વાંધાજનક છે અને આના કારણે બંને પક્ષોના લોકોમાં શંકા અને ડર પેદા થશે. પત્રમાં એવા આગ્રહ કરવામાં આવ્યો કે ગૃહ મંત્રાલય આસામને આ પ્રકારની ગતિવિધિઓ ન કરવાના નિર્દેશ આપે. ઉલ્લેખનીય છે કે લૈલાપુર(આસામ) અને વૈરેંગટે(મિઝોરમ) સીમા પર હિંસા બાદથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય બળોની તૈનાતીના આદેશ બાદ ત્યાં શાંતિ સ્થપાયેલી છે. બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દિલ્લીમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે બેઠક બાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે બંને પક્ષોએ સૌહાર્દપૂર્ણ રીતે સીમા મુદ્દાને ઉકેલવા માટે પારસ્પરિક રીતે ચર્ચા ચાલુ રાખવી જોઈએ.

મિઝોરમવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના નિર્દેશ
તમને જણાવી દઈએ કે બંને રાજ્યો, આસામના કછાર, હેલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓ તેમજ મિઝોરમના કોલાસિબ, મમિત અને આઈઝોલ 164.6 કિલોમીટરની સીમા શેર કરે છે. અહીં છેલ્લા એક વર્ષથી વિવાદિત સીમાના વિવિધ સ્થળોએ તણાવ યથાવત છે જેમાં સોમવારે બનેલી ઘટના સૌથી હિંસક હતી. વળી, ગુરુવારે જાહેર કરેલ વધુ બે નિર્દેશોમાં આસામે આદેશ આપ્યો કે મિઝોરમથી રાજ્યમાં પ્રવેશતા બધા વાહનોની ગેરકાયદે દવાઓ માટે તપાસ કરવામાં આવે પરંતુ કછાર અને કામરૂપ(મેટ્રો) જિલ્લાઓમાં વરિષ્ઠ પોલિસ અધિકારીઓ અને ડેપ્યુટી કમિશ્નરોને ગુવાહાટી અને સિલચરમાં મિઝોરમ હાઉસમાં રહેતા મિઝોરમવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યુ.












Click it and Unblock the Notifications
