બંગાળમાં હિંસા મુદ્દે ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
રામનવમી બાદ પશ્ચિમ બંગાળ અને બિહારમાં હિંસાનો માહોલ છે. હવે હિંસાને લઈને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. રામ નવમીના દિવસે હાવડામાં બે જૂથો વચ્ચે હિંસા થઈ હતી. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરીને રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સમીક્ષા કરી હતી.

સૂત્રો જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે લખેલા પત્રમાં કહેવાયુ છે કે, બંગાળમાં સુરક્ષાનો અભાવ શા માટે હતો? ખાસ કરીને એવા સમયે જ્યારે રામ નવમી છે અને મુસ્લિમો રમઝાન કરે છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, જ્યારે પોલીસની કાર્યવાહી ઘણા ભાગોમાં સમયસર હતી ત્યારે માત્ર બંગાળ અને બિહારમાં જ કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો.
હાવડાના શિબપુર વિસ્તારમાં 30 માર્ચે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી ભારે પોલીસ દળ વચ્ચે શુક્રવારે સ્થિતિ શાંતિપૂર્ણ રહી પરંતુ પછી બીજા દિવસે હિંસા શરૂ થઈ. હિંસા દરમિયાન દુકાનો અને ઓટો-રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી. આ સિવાય પોલીસના કેટલાક વાહનો સહિત ઘણા વાહનોમાં આગ લગાવાઈ હતી. અહીં પોલીસે ભીડને કાબૂ કરવા બળપ્રયોગ પણ કર્યો હતો.
આ સિવાય હુગલી જિલ્લામાં પણ હિંસા થઈ છે. રિશરામાં લેવલ ક્રોસિંગ પાસે ટોળા દ્વારા પથ્થરમારાના કારણે રેલ સેવાઓ લગભગ 3 કલાક માટે સ્થગિત કરાઈ હતી. અથડામણોએ શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે મોટી રાજકીય લડાઈ શરૂ કરી છે.
તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે. તૃણમુલ કોંગ્રેસે એક વીડિયો શેર કરીને આ આરોપ લગાવ્યો છે. વીડિયોમાં રામનવમીની રેલીમાં બંદૂક અને પિસ્તોલ જોવા મળી રહી છે. તૃણમૂલના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.












Click it and Unblock the Notifications
