26/11 હુમલોઃ ફાંસી પહેલા કસાબના અંતિમ શબ્દોઃ ‘તમે જીતી ગયા, હું હારી ગયો'
મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાને સ્વતંત્ર ભારતના ઈતિહાસની સૌથી મોટી આતંકવાદી ઘટના માનવામાં આવે છે.
મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાને સ્વતંત્ર ભારતના ઈતિહાસની સૌથી મોટી આતંકવાદી ઘટના માનવામાં આવે છે. આ મહિને આ ઘટનાના 10 વર્ષ થવા જઈ રહ્યા છે. 10 ફિદાઈન આતંકવાદીઓ સમુદ્દના રસ્તે મુંબઈ આવ્યા અને નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી. હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને લગભગ 300 જણ ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓમાંથી એક અજમલ આમિર કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. બાદમાં તેને ફાંસી આપી દેવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાના આતંકી અજમલ આમિર કસાબ સાથે જે સીનિયર પોલિસ ઈન્સ્પેક્ટર રમેશ મહાલે સૌથી પહેલા પૂછપરછ કરી હતી, તેમને પોતાના અંતિમ સમયમાં કસાબે કહ્યુ હતુ, 'તમે જીતી ગયા, હું હારી ગયો.' ભારત સામે યુદ્ધ છેડવા સહિત 80 મામલામાં દોષિત ઠેરવાયેલા કસાબે પોતાની ફાંસીના એક દિવસ પહેલા આ વાત રમેશ મહાલે સાથે કરી હતી.

ડેથ વોરન્ટ મળતા પહેલા સુધી કસાબને લાગતુ હતુ કે બચી જશે
કસાબને વિશેષ રીતે બનેલા બુલેટપ્રૂફ, ઉચ્ચ સુરક્ષા કક્ષમાં સ્થાનાંતરિત કરતા પહેલા લગભગ 81 દિવસ જેલમાં રખાયો હતો. 2013માં સેવાનિવૃત્ત થયેલા મહાલે કહ્યુ, ‘જ્યાં સુધી અદાલત તરફથી ડેથ વોરન્ટ ન મળ્યો ત્યાં સુધી કસાબને લાગતુ હતુ કે ભારતીય કાયદા તરફથી તેને છૂટ મળી જશે. મુંબઈ પોલિસની ગુનાશાખામાં લાંબા સમયથી કાર્યરત રહેલા રમેશ મહાલેએ આ કેસ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી.'

કસાબથી સચ્ચાઈ કઢાવવા આપ્યા બે જોડી નવા કપડા
કસાબ પાસેથી સચ્ચાઈ કઢાવવા માટે તેમણે નરમ વલણ રાખ્યુ હતુ. તેમને ખબર હતી કે 21 વર્ષીય કસાબને મુશ્કેલ પૂછપરછ રીતથી તોડી શકાશે નહિ. તેમણે જણાવ્યુ કે અમે કસાબને સહજ અને આરામદાયક અનુભવ કરાવ્યો અને તેના તૂટવાની રાહ જોઈ. મહાલેએ કસાબ પર મહેરબાની પણ કરી, જેમાં તેમણે તેને બે જોડી નવા કપડા પણ લાવીને આપ્યા.

કસાબે અફજલ ગુરુનો હવાલો આપીને કહ્યુ કે તેને ફાંસીએ ચઢાવવો અશક્ય
એક ઘટનાનો ઉલ્લેખ કરતા મહાલેએ કહ્યુ કે, ‘જ્યારે કસાબને પકડવામાં આવ્યો તો તેણે લગભગ દોઢ મહિના બાદ એક દિવસ જ્યારે હું તેની પૂછપરછ કરી રહ્યો હતો ત્યારે તેણે કહ્યુ હતુ કે તેના ગુનાઓ માટે ફાંસી આપવામાં આવી શકે છે પરંતુ ભારતીય ન્યાયિક વ્યવસ્થામાં ફાંસીની સજા આપવી શક્ય નથી. કસાબે સંસદ હુમલામાં દોષિત અફઝલ ગુરુનો હવાલો આપીને કહ્યુ હતુ કે કોર્ટ દ્વારા તેને ફાંસીની સજા અપાયા બાદ પણ તેને લટકાવી શકાયો નથી.' મહાલે તે દિવસે આ વાત સાંભળી ચૂપ રહી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બાદમાં અફઝલ ગુરુને પણ ફાંસી આપી દેવામાં આવી હતી.

ફાંસીના દિવસે મોતનો ભય કસાબના ચહેરા પર સ્પષ્ટ દેખાયો
કસાબને જ્યારે ફાંસી માટે મુંબઈથી પૂણે લઈ જવામાં આવી રહ્યો હતો તો લગભગ સાડા ત્રણ કલાકના પ્રવાસ દરમિયાન તે એક પણ શબ્દ બોલ્યો નહોતો. મોતનો ભય તેના ચહેરા પર સ્પષ્ટ અનુભવી શકાતો હતો. 21 નવેમ્બરે અજમલ કસાબને ફાંસી આપી દેવામાં આવી હતી. તેને યાદ કરતા મહાલેએ કહ્યુ, ‘જ્યારે મે સાંભળ્યુ કે તેને ફાંસી આપી દેવામાં આવી ત્યારે તે મારા જીવનના શ્રેષ્ઠ પળોમાંની એક હતી કારણકે ન્યાય થયો અને બુરાઈનો ખાતમો થયો.'












Click it and Unblock the Notifications
