પંજાબ સરકારે જૂની પેન્શન યોજનાને મંજુરી આપી, 1.75 લાખ કર્મચારીઓને લાભ મળશે!
ગુજરાતની ચૂંટણીમાં જૂની પેન્શન યોજનાનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે ત્યારે હવે પંજાબ સરકારે જૂની પેન્શન યોજનાને મંજુરી આપી દીધી છે. સરકારે આ માટે નોટીફિકેશન જાહેર કરીને જાહેરાત પણ કરી દીધી છે.
ચંદીગઢ : ગુજરાતની ચૂંટણીમાં જૂની પેન્શન યોજનાનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે ત્યારે હવે પંજાબ સરકારે જૂની પેન્શન યોજનાને મંજુરી આપી દીધી છે. સરકારે આ માટે નોટીફિકેશન જાહેર કરીને જાહેરાત પણ કરી દીધી છે. આ યોજનાથી પંજાબના 1.75 લાખ લોકોને ફાયદો થશે. આજે પંજાબ સિવિલ સચિવાલય ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો હતો.
મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, નવી પેન્શન યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના મંજૂર કરવામાં આવી છે, આમ રાજ્યના કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણી પૂરી થઈ છે. આનાથી 1.75 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પંજાબમાં 1.26 લાખ કર્મચારીઓને હાલની જૂની પેન્શન યોજના હેઠળ પહેલાથી જ આવરી લેવામાં આવ્યા છે.
તેમણે આગળ જણાવ્યુ કે, આગામી પાંચ વર્ષમાં 4100 કર્મચારીઓને આ યોજનાનો લાભ મળવાની સંભાવના છે. આ યોજના સરકારી કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા તેમજ રાજ્ય પ્રત્યે કર્મચારીઓના અનુકરણીય યોગદાનને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે.
અહીં તેમણે વધુમાં જણાવ્યું કે, અમલમાં મુકાયેલી યોજના ભવિષ્યમાં નાણાકીય રીતે ટકાઉ રહે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પેન્શન કોર્પસની રચનામાં સક્રિયપણે યોગદાન આપશે, જેનો લાભ યોજનાના લાભાર્થીઓને મળશે. અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટી જૂની પેન્શન યોજનાનો વાયદો કરીને સરકારમાં આવી હતી. હવે આ વાયદો આમ આદમી પાર્ટી ગુજરાતમાં કરી રહી છે.