ગાંધી પરિવારના આ લોકો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહી ચુક્યા છે
કોંગ્રેસ પાર્ટીની કમાન એકવાર ફરી સોનિયા ગાંધીના હાથમાં આવી ગઈ છે. આશરે 72 દિવસ સુધી ચાલેલી ઉથલ-પાથલ બાદ આખરે સોનિયા ગાંધીને પાર્ટીની જવાબદારી સોંપાઈ ગઈ છે.
કોંગ્રેસ પાર્ટીની કમાન એકવાર ફરી સોનિયા ગાંધીના હાથમાં આવી ગઈ છે. આશરે 72 દિવસ સુધી ચાલેલી ઉથલ-પાથલ બાદ આખરે સોનિયા ગાંધીને પાર્ટીની જવાબદારી સોંપાઈ ગઈ છે. રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીની હારની જવાબદારી લેતા પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ, ત્યારબાદ રાહુલ ગાંધીના મનામણાનો દોર ચાલ્યો હતો. જો કે રાહુલ આ મામલે ન માનતા આખરે એક વાર ફરી તેમની માતા સોનિયા ગાંધીને ખભે પાર્ટીની જવાબદારી આવી ગઈ છે.
શનિવારે કોંગ્રેસ કાર્યસમિતિ બેઠક બોલાવામાં આવી હતી. કાર્યસમિતિમાં 5 ગ્રુપ બનાવી તમામ રાજ્યોના નેતાઓથી સલાહ લેવામાં આવી હતી, ત્યારે બધાએ એક સ્વરે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની સલાહ આપી હતી. પણ રાહુલ ગાંધી રાજી ન થતા પી.ચિદમ્બરમ્બે સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર સોનિયા ગાંધી રાજી થયા ન હતા. જ્યોતિરાદિત્ય સિંધિંયાએ બેઠકમાં કહ્યુ કે, જ્યારે રાહુલ ગાંધી cwcનો નિર્ણય માનવા તૈયાર નથી. તો મેડમે આગળ આવવું જોઈએ.
આ પણ વાંચો: જાણો આખરે કેમ સોનિયા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનવું પડ્યું
સોનિયા ગાંધીને રાજી કરવામાં આવ્યા
તમામ નેતાઓએ સોનિયાને કહીં દીધુ કે કોઈ પણ સંજોગોમાં તેમણે પાર્ટીને સંભાળવી પડશે. ત્યારે સોનિયા ગાંધીએ તેમની વાત માનવી પડી. મુકુલ વાસનિકને અધ્યક્ષ બનાવવાનું નક્કી હતુ, પણ સોનિયા ગાંધીને કહેવામાં આવ્યુ કે, જો કોઈ બીજાને અધ્યક્ષ બનાવવામાં આવશે, તો તે ગાંધી પરિવારની કઠપુતળી કહેવાશે. અંતે હા ના કરતા કરતા કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીને સોંપાઈ.
સૌથી પહેલી તાજપોશી મોતીલાલ નહેરુની
નહેરુ પરિવારમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સૌથી પહેલી તાજપોશી મોતીલાલ નહેરુની થઈ હતી. તેઓ રાહુલના પરનાના અને પંડિત જવાહરલાલ નહેરુના પિતા હતા. મોતીલાલ નહેરુને બે વખત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પહેલી વાર 1919, અને બીજી વાર 1928માં તેઓ પાર્ટીની કમાન સંભાળી ચૂક્યા છે.
જવાહરલાલ નહેરુ 8 વખત બન્યા કોંગ્રેસ અધ્યક્ષ
મોતીલાલ નહેરુ બાદ જવાહરલાલ નહેરુ 8 વખત કોંગ્રેસ અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. જવાહરલાલ નહેરુ સૌથી પહેલી વાર 1929માં કોંગ્રેસ લાહોર અધિવેશનમાં અધ્યક્ષ બનાવાયા. ત્યાર બાદ 1930, 1936, 1937, 1951, 1952, 1953, 1954માં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે.
ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી નહેરુ પરિવારની ત્રીજી પેઢીના વારસદાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ બની. ઈન્દિરા ગાંધીને ચાર વખત કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા. ઈન્દિરા ગાંધી પહેલી વાર દિલ્હી વિશેષ સેશનમાં અધ્યક્ષ બન્યા. ત્યાર બાદ પાંચ વર્ષ માટે 1978થી 1983 સુધી અધ્યક્ષ રહ્યા.
રાજીવ ગાંધી
ગાંધી પરિવારની ચોથી પેઢીના રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને તેમણે 1985થી 1991 સુધી પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળ્યુ.
સોનિયા ગાંધી
રાજીવ ગાંધીના મૃત્યુ બાદ કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીને સોંપાઈ. સોનિયા ગાંધીએ 1998માં પાર્ટીની કમાન પોતાના હાથમાં લીધી. નહેરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢી તરીકે સોનિયા ગાંધી વર્ષ 1998થી લઈ 2017 સુધી કોંગ્રેસના અધ્યક્ષ પદે રહી.
રાહુલ ગાંધી
નહેરુ પરિવારની પાંચમી પેઢીના યુવા નેતા રાહુલ ગાંધીએ પાર્ટીનો કાર્યભાર પોતાના હાથમાં લીધો. 11 ડિસેમ્બર 2017માં તેઓ પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા. જો કે રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીની હારની જવાબદારી લેતા પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ. ત્યાર બાદ ફરી તેમની માતાએ પાર્ટીના અધ્યક્ષની જવાબદારી લેવી પડી.