દાર્જિલિંગ હિંસામાં 1નું મૃત્યુ, 36 જવાન ઇજાગ્રસ્ત
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ભડકેલી હિંસામાં 36 જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને એક નાગરિકનું મૃત્યુ થયું છે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ગોરખાલેન્ડની માંગણીને લઇને છેલ્લા 10 દિવસથી ચાલી રહેલ વિવાદે શનિવારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે થયેલ હિંસક ઝપાઝપીમાં 36 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. આમાંથી 5 જવાનોને ગોળી વાગી હતી, 2 જવાનો પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસામાં એક નાગરિકનું મૃત્યુ થવાની પણ ખબર છે. આ હિંસક પ્રદર્શનની આગેવાની કરતા ગોરખા જનમુક્તિ મોરચાએ રવિવારે મોટું પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી, આથી જ રવિવારનો દિવસ ખાસો સંવેદનશીલ મનાઇ રહ્યો છે.

GJM એ કર્યો ત્રણ લોકોના મૃત્યુનો દાવો
ગોરખા જનમુક્તિ મોરચા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસના ગોળીબારમાં તેમના ત્રણ સમર્થકોનું મૃત્યુ થયું છે. હાલ આ ખબરની પુષ્ટિ નથી થઇ શકી. પોલીસ સાથેના સંઘર્ષમાં દાર્જિલિંગના સિંગામારીમાં એક પ્રદર્શનકર્તાનું મૃત્યુ થયું છે અને 36 જવાનો ઘાયલ થયા છે. એડીજી ઓપરેશને આ ખબરની પુષ્ટિ કરતાં કહ્યું કે, 20 જવાનો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે અને હાલ હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. 8 જૂનથી શરૂ થયેલ વિરોધ પ્રદર્શન બાદ પહેલી વાર દાર્જિલિંગમાં આટલી મોટી હિંસા થઇ છે.

રવિવારે વધુ મોટા પ્રદર્શનનું આહ્વાન
ગોરખા જનમુક્તિ મોરચાના ચીફ બિમલ ગુરુંગે સમર્થકોને રવિવારે ચોક બજારમાં સવારે 10 વાગ્યે જમા થવાનું આહ્વાન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ત્રણ સમર્થકો પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુનો વિરોધ કરનારા લોકો કાળા બેજ લગાવીને આવે. જો કે, રાજ્ય સરકાર તરફથી ચાર કે તેથી વધુ લોકોના એક જગ્યાએ ભેગા થવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મમતા બેનર્જીએ ગૃહમંત્રી સાથે કરી વાત
દાર્જિલિંગની કાયદાકીય વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીની દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વાત થઇ છે. મમતા બેનર્જીએ રાજનાથ સિંહને દાર્જિલિંગમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે લેવામાં આવેલ પગલા અંગે જાણકારી આપી હતી. ગૃહમંત્રી તરફથી મમતા બેનર્જીને કાયદાકીય વ્યવસ્થા જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે. મમતા બેનર્જીએ દાર્જિલિંગની આ ઘટનાને મોટું ષડયંત્ર ગણાવ્યું છે.

પોલીસ પર ફેંકવામાં આવ્યા પેટ્રોલ બોમ્બ અને પથ્થર
ગોરખા જનમુક્તિ મોરચાએ પશ્ચિમ બંગાળ સરકાર સાથે કોઇ પણ પ્રકારની વાત કરવાની સ્પષ્ટ ના પાડી છે. તેઓ કેન્દ્રની ભાજપ સરકાર સાથે વાત કરવા તૈયાર છે. પોલીસનું કહેવું છે કે, ગોરખા જનમુક્તિ મોર્ચાના સમર્થકોએ સુરક્ષા દળ પર પેટ્રોલ બોમ્બ, પથ્થર અને બોટલો ફેંકી હતી. ત્યાર બાદ પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી.

દાર્જિલિંગમાં સળગેલ હિંસા પાછળનું કારણ
હાલ દાર્જિલિંગમાં ટૂરિસ્ટ સિઝન ચાલી રહી છે. અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, બાજુના કલિમપોંગ જિલ્લામાં પણ બે ગાડીઓમાં આગ ચાંપવાનો બનાવ સામે આવ્યો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સુરક્ષા દળના જવાન દાર્જિલિંગ અને કુર્સિયાંગ ફ્લેગ માર્ચ કરી રહ્યાં છે. ગોરખા જનમુક્તિ મોરચા નેપાળી બોલનારા ગોરખાઓ માટે અલગ રાજ્ય ગોરખાલેન્ડની માંગ કરી રહ્યાં છે. ગત અઠવાડિયે મમતા બેનર્જીની સરકાર દ્વારા શાળાઓમાં ધોરણ 10 સુધી બંગાળી ભાષા ફરજિયાત હોવાની ઘોષણા થયા બાદ ગોરખા લોકોનો રોષ ઉછળ્યો હતો અને આ કારણે હિંસા ભડકી હોવાનું મનાય છે.












Click it and Unblock the Notifications
