ભાજપની આ ગરીબ તરફી જીત છે, માતા-બહેનોના આશિર્વાદ મળ્યાઃ પીએમ મોદી
ભાજપની આ ગરીબ તરફી જીત છે, માતા-બહેનોના આશિર્વાદ મળ્યાઃ પીએમ મોદી
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આજે સામે આવી ગયાં છે. જેમાં પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં કેસરીયો લહેરાયો છે. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા અને ભાજપના વિઝન વિશે વાત કરી સાથે જ કોંગ્રેસ, સપા અને બસપા પર આકરા પ્રહારો કર્યા.

પીએમ મોદીએ કહ્યું કે, ચૂંટણીના પરિણામમાં મારી માતાઓ-બહેનો- દીકરીઓનું બહુ મોટું યોગદાન છે. આ અમારું સૌભાગ્ય છે કે ભાજપને બહેનો, દીકરીઓ, માતાઓએ આટલો સ્નેહ આપ્યો, આટલા આશિર્વાદ મળ્યા છે. જ્યાં જ્યાં મહિલા મતદાતાઓએ પુરુષોના મુકાબલે વધુ વોટ આપ્યા છે ત્યાં ભાજપને બંપર જીત મળી છે. એક પ્રકારે આપણી માતા-બહેનો, આપણી દીકરીઓ, આપણી સ્ત્રી શક્તિ ભાજપની જીતની સારથી બની છે.
મોદીએ કહ્યું કે, હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ થઈ જતી હતી જ્યારે લોકો મારી સુરક્ષાને લઈ ચિંતા કરતા હતા ત્યારે હું કહેતો હતો કે મને કોટી કોટી આપણી માતાઓનો સ્ત્રી શક્તિનું મને કવચ મળ્યું છે. ભારતની માતા- બહેનો ભાજપ પર નિરંતર વિશ્વાસ કરી રહી છે. તેમને પહેલીવાર વિશ્વાસ થયો છે કે સરકાર તેમની નાનામાં નાની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખે છે. સાથે જ આ ચૂંટણીઓના પરિણામોએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે યુપીની જનતાને ભાજપ પર ભરોસો છે.
આ દેશ માટે મારી દુખની વાત છે, હું સ્વયં દુખ અનુભવ કરતો હતો જ્યારે આ જ્ઞાની લોકો યુપીની જનતાને માત્ર જાતિવાદના તરાજુથી તોલતા હતા, હું સમજું છું કે ઉત્તર પ્રદેશના નાગરિકોને જાતિવાદની માળામાં બાંધીને તેઓ એ જાતિઓનું અપમાન કરતા હતા, એ નાગરિકોનું અપમાન કરતા હતા, આખા ઉત્તર પ્રદેશનું અપમાન કરતા હતા. કેટલાક લોકો એવું કહીને યુપીને બદનામ કરે છે કે અહીંની ચૂંટણીમાં તો જાતિ જ ચાલે છે. પરંતુ ઉત્તર પ્રદેશના લોકોએ દેખાડી દીધું. 2014, 2017, 2019ની ચૂંટણીના પરિણામ જુઓ, 2022માં પણ જોઈ શકો છો કે દરેક વખતે યુપીએ માત્ર વિકાસવાદની રાજનીતિને જ ચૂંટી છે.
યુપીના લોકોએ આ લોકોને પાઠ ભણાવ્યો છે, યુપીના ગરીબમાં ગરીબ વ્યક્તિએ પાઠ ભણાવ્યો કે જાતિની ગરીમા, જાતિનું માન દેશને જોડવા માટે હોવું જોઈએ, તોડવા માટે નહીં.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, હું આજે પંજાબના ભાજપના કાર્યકર્તાઓના પણ વખાણ કરીશ, વિપરિત પરિસ્થિતિઓમાં જેવી રીતે તેમણે પાર્ટીનો ઝંડો બૂલંદ કર્યો છે તો આગામી દિવસોમાં પંજાબમાં ભાજપ એક શક્તિના રૂપમાં ઉભરીને આવશે. સીમાવર્તી રાજ્ય હોવાના કારણે પંજાબને અલગાવવાદી રાજનીતિથી સતર્ક રાખવા ભાજપનો કાર્યકર્તા આ કામને કરતો રહેશે. આગામી પાંચ વર્ષમાં ભાજપનો દરેક કાર્યકર્તા આ દાયિત્વને જોરશોરથી નિભાવશે, હું પંજાબની જનતાને આ વિશ્વાસ આપવા માંગું છું.
કોરોના જેવી મહામારીમાં પણ ભારત બચી શક્યું કેમ કે અમારી નીતિઓ જમીનથી જોડેલી રહી અને અમારા પ્રયાસ અવિરત આગળ વધતા રહ્યા. જ્યાં જ્યાં ડબલ એન્જીનની સરકાર રહી ત્યાં જનતાના હિતોની ડબલ સુરક્ષા રહી અને વિકાસના કાર્યોની ગતિ પણ તેજ થઈ. આ સમયે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો પ્રભાવ પ્રત્યેક્ષ અને પરોક્ષ રૂપે દુનિયાના દરેક દેશ પર પડી રહ્યો છે. ભારત શાંતિના પક્ષમાં છે. વાતચીતથી દરેક સમસ્યાને ઉકલેવાના પક્ષમાં છે, પરંતુ જે દેશ સીધા યુદ્ધ લડી રહ્યા છે તેમને ભારતનો આર્થિક દ્રષ્ટિએ, સુરક્ષાની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ સંબંધ છે. આ દેશો સાથે ભારતની ઘણી જરૂરિયાતો જોડાયેલી છે. ભારત જે ક્રૂડ ઓઈલ, સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ મંગાવે છે તેની કિંમત પણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીથી વધી રહી છે. કોલસો, ગેસ, ફર્ટિલાઈઝર તમામની કિંમતોમાં ઉછાળો આવી રહ્યો છે.
યુદ્ધને કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી રહી છે, વિકાસશીલ દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ વિપરિત વાતાવરણમાં, ઉથલ-પુથલથી ભરેલા માહોલમાં, અનિશ્ચિતતાના માહોલમાં ભારતની જનતાએ વિશેષ રૂપે ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ પોતાની દૂર દ્રષ્ટિનો પરિચય આપ્યો છે. ભારતના મતદાતાઓએ જેવી રીતે આ ચૂંટણીઓમાં સ્થિર સરકારો માટે વોટ આપ્યો તેઓ એ વાતના પ્રતિબિંબ છે કે લોકતંત્ર ભારતીયોની રગોમાં છે.
વડાપ્રધાન મોદીએ પોતાની ચિંતાઓ વ્યક્ત કરતા કહ્યું કે, દેશના નાગરિકો બહુ જવાબદારી સાથે પોતાનું કામ કરી રહ્યા છે, જ્યારે અવસર મળે છે તે જવાબદારી સાથે હાજર થાય છે, દેશનો સામાન્ય નાગરિક રાષ્ટ્ર નિર્માણમાં જૂટ્યો છે, પરંતુ અમુક લોકો સતત રાજનીતિનું સ્તર નીચું પાડતા જઈ રહ્યા છે. કોરોના કાળમાં પણ આ લોકોએ દેશવાસીઓને ઊંધે રસ્તે લઈ જવાના પ્રયત્નો કર્યા. વેક્સીનેશનના કાર્યક્રમ પર આખું વિશ્વ આપણા વખાણ કરી રહ્યા હતા ત્યારે આ લોકોએ વેક્સીનેશન પર સવાલો ઉઠાવ્યા. જ્યારે યુક્રેનમાં આપણા હજારો વિદ્યાર્થીઓ ફસાયા હતા ત્યારે પણ આ લોકો ત્યાં ફસાયેલા લોકોના પરિવારોમાં અસુરક્ષાની ભાવના વધારી રહ્યા હતા. આ લોકોએ ઓપરેશન ગંગાને પણ પ્રદેશવાદની સાકળમાં બાંધવાની કોશિશ કરી.
આ ચૂંટણીમાં મેં સતત વિકાસની વાત કરી છે, ગરીબોને ઘર, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેક્સીન વગેરે બાબતે ભાજપનું વિઝન લોકો સામે રાખ્યું આની સાથે જ મેં જે એક વાતની સૌથી વધુ ચિંતા જતાવી હતી તે હતી પરિવારવાદ. મેં રાજ્યના લોકોને જણાવ્યું હતું કે હું કોઈ પરિવારની વિરુદ્ધ નથી, કોઈ સાથે મારી દુશ્મની પણ નથી પરંતુ હું લોકતંત્રની ચિંતા કરું છું. મેં લોકોને જણાવ્યું કે પરિવારવાદની રાજનીતિએ કેવી રીતે તેમના રાજ્યના પાછળ લઈ ગયા છે. મને ખુશી છે કે મતદાતાઓએ આ વાતને સમજતાં પોતાનો વોટ આપ્યો છે અને લોકતંત્રને વધુ મજબૂત કર્યું છે.
એક દિવસ એવો આવશે જ્યારે ભારતના નાગરિકો આ પરિવારવાદી રાજનીતિનો સૂર્યાસ્ત કરીને ઝંપશે. આ ચૂંટણીમાં દેશના મતદારોએ પોતાની સમજણનો પરિચય આપતાં આ શું થવાનું છે તેનો ઈશારો કરી દીધો છે.












Click it and Unblock the Notifications
