BHU VCએ કહ્યું, વિદ્યાર્થીનીઓ પર લાઠીચાર્જ નથી થયો
બીએચયુમાં વિદ્યાર્થીનીની છેડતી અને ત્યાર બાદ ધરણાં દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલ લાઠીચાર્જનો વિવાદ હજુ પણ શાંત નથી થયો. આ મામલે નવો વળાંક આવ્યો છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સ્થિત બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં થયેલ હંગામા બાદ ખબર આવ્યા હતા કે, ત્યાંના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ગિરિશચંદ્ર ત્રિપાઠીની મનાવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા સમન મોકલવામાં આવ્યું છે. જો કે, બીએચયુના વીસી ગિરિશ ત્રિપાઠીએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મીડિયામાં ચાલી રહેલી ખબરો ખોટી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારથી તમામ મોટાભાગની ચેનલો પર આ ખબર જોવા મળી હતી કે, ત્રિપાઠીને દિલ્હી મોકલવામાં આવ્યા છે.
પીએમ મોદીના આદેશ
ઉલ્લેખનીય છે કે, બીએચયુની એક વિદ્યાર્થીનીએ છેડછાડની ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ વિદ્યાર્થીનીઓએ તેના વિરોધમાં ધરણા કર્યા હતા, ત્યાર બાદ યુનિ.ની હોસ્ટેલમાં વિદ્યાર્થીની પર પુરૂષ પોલીસ કર્મીઓ દ્વારા લાઠીચાર્જ થતાં મામલો ગંભીર બન્યો હતો. આ ઘટનાને કારણે શનિવારથી બીએચયુ વિવાદમાં ઘેરાયેલી છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, બીએચયુના વિવાદનો બને એટલી જલ્દી ઉકેલ લાવવામાં આવે. આ આદેશ બાદ જ મનાવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સક્રિયતા બતાવવામાં આવી છે.
વીસી ગિરિશ ત્રિપાઠીનું નિવેદન
આ પહેલાં વિદ્યાર્થી સાથે થયેલ છેડછાડના મામલે ગિરિશ ત્રિપાઠીએ કહ્યું હતું કે, કોલેજ કેમ્પસમાં થયેલ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વિશ્વવિદ્યાલયના પ્રશાસન દ્વારા પહેલા પણ આવા મામલે કડક પગલાં લેવામાં આવ્યા છે અને આ મામલે પણ જરૂરી પગલાં લેવામાં આવશે. કેટલીક વિદ્યાર્થીનીઓએ સીસીટીવી કેમેરા લગાવવાની માંગણી કરી છે, જેની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. કેટલીક વિદ્યાર્થીનીઓએ મને કહ્યું કે, વિશ્વવિદ્યાલય પ્રશાસને વિદ્યાર્થીનીઓને થતી હેરાનગતિ તરફ વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે અને હું તેમની સાથે સંમત છું.
બહારના લોકોએ દૂષિત કર્યું BHUનું વાતાવરણ
તેમણે આગળ કહ્યું હતું કે, મામલાની શરૂઆતમાં વિદ્યાર્થીનીઓએ કેટલાક મુદ્દા અંગે વિશ્વવિદ્યાલય પ્રશાસનને ફરિયાદ કરી હતી, પરંતુ હવે મામલો બદલાઇ ગયો છે. મોટી માત્રામાં બહારના લોકોએ આવી આ આંદોલનને હવા આપવાનો પ્રયત્ન કર્યો છે. અમને જાણકારી મળી છે કે, બહારના કેટલાક અસામાજિક તત્વોએ વિશ્વવિદ્યાલય પરિસરનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો. તો બીજી બીજુ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ કહ્યું હતું કે, રાજનૈતિક દ્રષ્ટિએ નિરાશ અને હતાશ લોકો દ્વારા બીએચયનું વાતાવરણ દૂષિત કરવામાં આવ્યું છે અને તેની કડક તપાસ થશે.
વિદ્યાર્થીનીઓ પર લાઠીચાર્જ નથી થયો
યોગી સરકારે કમિશ્નર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે અને કાર્યવાહી કરતાં ત્રણ પોલીસ ઓફિસરોને બરતરફ કરવામાં આવ્યા છે. કમિશ્નર દ્વારા યુનિ.માં સીસીટીવી કેમેરા લગાવવા માટે લેખિતમાં આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ વીસી ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલ પત્ર પણ ચર્ચામાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીનીઓ પર લાઠીચાર્જ નથી થયો. તેમનું કહેવું છે કે, વિશ્વવિદ્યાલયની સંપત્તિને નુકસન પહોંચાડી રહેલ લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી, વિદ્યાર્થીનીઓ પર કોઇ કાર્યવાહી નથી થઇ.