ત્રણ પાર્ટીઓ BSP, NCP અને CPI રાષ્ટ્રીય પાર્ટી નહીં રહે
નવી દિલ્હી, 30 જૂન : લોકસભા ચૂંટણી 2014 બાદ ઘણું બધું બદલાઇ ગયું છે. તેમાં રાજકીય પક્ષોનો દરજ્જો પણ બદલાવાની તૈયારી છે. એક અંગ્રેજી સમાચારપત્રના જણાવ્યા અનુસાર દેશની ત્રણ રાજકીય પાર્ટીઓ બીએસપી, એનસીપી અને સીપીઆઇ રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો ગુમાવશે.
સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર બે સપ્તાહ પહેલા ભારતના ચૂંટણી પંચે આ ત્રણ પાર્ટીઓને કારણદર્શક નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચે તેમને પૂછ્યું હતું કે લોકસભા ચૂંટણીઓમાં પાર્ટીની હાર બાદ તેમની રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા શા માટે રદ કરવી ના જોઇએ?
નોંધનીય છે કે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડો અનુસાર કોઇ પણ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે જરૂરી છે કે તેને ચાર રાજ્યોમાં ઓછામાં ઓછા 6 ટકા મતો મળ્યા હોય અથવા ત્રણ રાજ્યોમાં ઓછામાં ઓછી 2 ટકા બેઠકો મળી હોય. આ ઉપરાંત પાર્ટીને ચાર રાજ્યોમાં માન્યતા પણ મળી હોવી જોઇએ.
આ માપદંડોની બહાર થતાં કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણેય પાર્ટીઓને 27 જૂન સુધીનો સમય આપ્યો હતો કે તેઓ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે અને ચૂંટણી પંચને મળવાનો સમય આપે. જો કે ત્રણેમાંથી એક પણ પાર્ટીએ આ અંગે શું જવાબ આપ્યો છે તેની કોઇ જાણ થઇ શકી નથી.
ચૂંટણી પંચના નિયમો અનુસાર જો આ પાર્ટીઓ રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો ગુમાવી દેશે તો તેમનું પાર્ટી ચિહ્ન પણ છીનવાઇ જશે. એટલે કે એ ચિહ્ન હવે તેમના માટે રિઝર્વ નહીં રહે. કોઇ પણ પાર્ટી કે વ્યક્તિ પહેલા આવો અને પહેલા લઇ જાવના ધોરણે તેનો ઉપયોગ કરી શકે છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય પાર્ટી તરીકે તેમને જે નાની મોટી સુવિધાઓ મળે છે તે પણ છીનવાઇ જશે. વર્ષ 2010માં લાલુ પ્રસાદ યાદવની પાર્ટીની રાષ્ટ્રીય માન્યતા છીનવાઇ ચૂકી છે.તે જ સમયે જેડી યુ અને સપાની માન્યતા પણ છીનવાઇ ગઇ હતી.