કર્ણાટક ચૂંટણીઃ આ 5 ભૂલને કારણે કોંગ્રેસે ભોગવવી પડી હાર
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસનો આખરી ગઢ કર્ણાટક પણ તેમના હાથમાંથી છીનવાઈ ગયું છે.
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસનો આખરી ગઢ કર્ણાટક પણ તેમના હાથમાંથી છીનવાઈ ગયું છે. વધુ એક ચૂંટણીમાં ફરી પીએમ મોદી અને અમિત શાહની જોડીનો જલવો જોવા મળ્યો. એમની રણનીતિએ કમાલ કરી અને દક્ષિણ ભારતમાં પણ કમળ ખીલી ગયું. ભાજપ એકલું બહુમત હાસિલ કરતી જોવા મળી રહી છે. 2019 લોકસભા ચૂંટણી પહેલાં કર્ણાટક વિધાનસભાને સેમિફાઇનલ માનવામા આવી રહ્યું છે. આ મામલે ભાજપના પ્રદર્શનથી સાફ થઇ ગયું છે કે મોદીની લહેર હજી પણ યથાવત છે. માનવામા આવી રહ્યું છે કે 2019ના સામાન્ય ચૂંટણીમાં આની અસર જરૂર જોવા મળશે. હાલ સૌથી મોટો સવાલ એ પણ છે કે આખરે કર્ણાટકમાં કોંગ્રેસની ભૂલ ક્યાં થઈ, તો જાણો કોંગ્રેસની એ પાંચ મહત્વની ભૂલ...
લિંગાયત ફેક્ટર
આ વખતે વિધાનસભા ચૂંટણીમાં લિંગાયત ફેક્ટરને મહત્વનું માનવામા આવી રહ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે લિંગાયત સમુદાયને લઘુમતીનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ રજૂ કરી મોટી ગેમ રમી હતી. એ સમયે એ અંદાજો લગાવવામા આવી રહ્યો હતો કે જો કોંગ્રેસ પાર્ટીનો આ દાવ સફળ રહે અને ભાજપના પારંપરિક વોટ બેંક માનવામા આવતા લિંગાયત વોટર જો કોંગ્રેસ તરફ શિફ્ટ થાય તો કોંગ્રેસ ફરી એક વખત સત્તામાં વાપસી કરી શકે છે. જો કે અત્યાર સુધીના પરિણામોથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે લિંગાયત વોટર્સ હજુ ભાજપ તરફ જ છે. જેની અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળી રહી છે, જ્યાં ભાજપ સૌથી વધુ સીટ મેળવવામાં સફળ રહી. ક્યાંકને ક્યાંક કોંગ્રેસનો આ દાવ સફળ ન રહ્યો.
આંતરિક ટકરાવ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેવી રીતે કોંગ્રેસની હાર થઇ પાછળનું મુખ્ય કારણ પાર્ટીની અંદરના પક્ષપાતો પણ રહ્યું. જેવી રીતે સિદ્ધરામૈયાને કોંગ્રેસના નેતૃત્વએ ફ્રી હેન્ડ આપ્યો એનાથી પાર્ટી નેતાઓમાં નારાજગી જોવા મળી રહી હતી. ચૂંટણી દરમિયાન ટિકિટ વહેચણી સમયે પણ સિદ્ધરામૈયાનુ જ ચાલ્યું. એટલું જ નહીં સિદ્ધરામૈયા સરકારના કેટલાય મંત્રીઓના રિપોર્ટ કાર્ડ પણ જનતાની નજરમાં યોગ્ય ન હતા. મંત્રીઓ પર પોતાનું કામ સરખી રીતે ન કરવાના આરોપો લાગી રહ્યા હતા. આ તમામ ફેક્ટરે ચૂંટણીમાં અસર પહોંચાડી અને પરિણામ કોંગ્રેસની વિરુદ્ધ આવ્યું.
બીએસપી-એનસીપીને સાથે લઈ જેડીએસનું મેદાનમાં આવવું
જેડીએસની મજબૂત ઉપસ્થિતિ પણ કર્ણાટકમાં કોંગ્રેસની હાર પાછળનું કારણ બન્યું. જેવી રીતે જેડીએસે ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી અને એનસીપીથી ગઠબંધન કર્યું. ચૂંટણીમાં આની અસર જોવા મળી. જેડીએસે આ વખતે ગત ચૂંટણીથી વધુ સીટ નોંધાવી. આનું નુકસાન ક્યાંકને ક્યાંક કોંગ્રેસે જ ઉઠાવવું પડ્યું. ભાજપે એમની વચ્ચેની લડાઈનો ફાયદો ઉઠાવ્યો.
એન્ટી ઇન્કમબેંસી ફેક્ટર
કર્ણાટક વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળનું એક ફેક્ટર એન્ટી ઇન્કમબેંસી પણ રહ્યું. સિદ્ધરામૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે પ્રદેશના હિતમાં કેટલાય કામ કર્યાં. ઇન્દિરા કેન્ટીન સહિત કેટલીય મહત્વની યોજનાઓની શરૂઆત કરી. એટલું જ નહીં કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં પણ કેટલાય મહત્વના વાદાઓનો ઉલ્લેખ કર્યો, જો કે પાર્ટીનો આ દાવ નિષ્ફળ રહ્યો. ભાજપે જેવી રીતે ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને કોંગ્રેસ સરકારની યોજનાઓ અને ફંડનો રાજ્યમાં યોગ્ય રીતે ઉપયોગ ન કરવાનો આરોપ લગાવ્યા. આ તમામ દાવા ભાજપ માટે ફાયદાકારક સાબિત થયા.
ચૂંટણી પ્રચારની રણનીતિ
કર્ણાટક ચૂંટણીના પરિણામોથી એક વખત ફરી સાબિત થઇ ગયું કે કોંગ્રેસના રણનીતિકારોનું કેમ્પેન લોકો વચ્ચે જગ્યા ન બનાવી શક્યું. ખાસ કરીને રાહુલ ગાંધી અને સિદ્ધરામૈયા જનતાની નસ પકડવામાં નિષ્ફળ રહ્યા. બીજી બાજુ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે જે ચૂંટણી રણનીતિ બનાવી અને જે મુદ્દા ઉઠાવીને કોંગ્રેસની સિદ્ધરામૈયા સરકારને ઘેરી, એની અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહી છે. ચૂંટણી નજીક હોય ત્યારે પીએમ મોદીનું પ્રચાર માટે ઉતરવું કોંગ્રેસ માટે હાનિકારક સાબિત થયું.