Triple Talaq Bill: બુધવારે રાજ્યસભામાં રજૂ થશે બિલ, જાણો કેમ?
રાજ્યસભમાં રજૂ થશે ત્રણ તલાક વિરુદ્ધનું બિલ
મંગળવારે રાજ્યસભામાં ત્રણ તલાકને અપરાધ તરીકે ઠરાવતું બિલ રજૂ કરવામાં આવનાર હતું, પરંતુ હવે આ બિલ બુધવારે રજૂ થશે. આ બિલને લોકસભામાં મંજૂરી મળી ચૂકી છે, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આ બિલ સદનમાં રજૂ કરશે. આ અંગે વાત કરતાં કેન્દ્રિય મંત્રી અનંત કુમારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે, ત્રણ તલાક ગેરકાયદેસર છે. લોકસભામાં આ બિલ પાસ થઇ ગયું છે અને હું આશા રાખું છું કે, રાજ્યસભામાં પણ આ બિલ ટૂંક સમયમાં પાસ થશે. આ મામલે સૌની નજર કોંગ્રેસ પર ટકેલી છે. લેફ્ટ પાર્ટી છેલ્લા કેટલાક સમયથી આ મામલે કોંગ્રેસ સાથે વાતચીતમાં લાગેલી છે. તેમની માંગ છે કે, આ બિલને સેલેક્ટ કમિટી મોકલવામાં આવે. એવામાં સેક્યુલર મોરચા તરફથી આ મામલાને લઇને કોંગ્રેસ પર દબાણ વધી રહ્યું છે.

ત્રણ તલાક વિરોધી બિલ 'ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઇન મેરેજ એક્ટ' ગુરૂવારે લોકસભામાં વિના સંશોધન પાસ થયુંં હતું. રાજ્યસભામાં પણ કોંગ્રેસ, ભાજપનો સાથ આપે એ સંભવ નથી. રાજ્યસભામાં ભાજપ પાસે પૂરા નંબર નથી, આ માટે બિલ પર જોખમ છે. આરજેડીથી લઇને બીજેડી આ બિલની વિરુદ્ધમાં છે, તો કોંગ્રેસ અને ડીએમકે સહિત શિવસેના આમાં સંશોધન ઇચ્છે છે.
3 વર્ષની સજા સામે વિરોધ
ત્રણ તલાક વિરુદ્ધનું બિલ લોકસભામાં પાસ થતાં જ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે કડક પ્રતિક્રિયા આપી હતી, તેમણે આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કહી હતી. આ કાયદાની કેટલીક બાબતો સામે તેમનો ઉગ્ર વિરોધ છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું કહેવું છે કે, પર્સનલ લો બોર્ડના લીગલ સેલના કન્વીનર યૂસુફ હાતિમ મુછાલાના નેતૃત્વમાં લીગલ એક્સપર્ટ્સની ટીમે આ કાયદાની સમીક્ષા કરી છે, જે પછી તેમણે જણાવ્યું હતું કે, આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. ત્રણ વર્ષની સજા સામે બોર્ડનો ઉગ્ર વિરોધ છે. આ પહેલાં લો બોર્ડના અધ્યક્ષ મૌલાબા રાબે હસન નદવીએ પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, આ કાયદો બનાવતા પહેલાં પર્સનલ લો બોર્ડ અને મહિલા સંગઠનોની સલાહ પણ લેવાવી જોઇતી હતી. આ બિલ અનુસાર પતિને 3 વર્ષની સજા થતાં પત્નીને વળતર નહીં મળી શકે. આ મહિલા વિરોધી છે. તેમણે આ બિલ બનાવતા પહેલાં ઓછામાં ઓછું એકવાર અમારી સાથે તો વાત કરવી જોઇતી હતી.












Click it and Unblock the Notifications
