મુંબઇમાં વસતા ગુજરાતીઓ ISISના ટાર્ગેટમાં ટોચ પર, એલર્ટ જાહેર
મુંબઇ, 24 ડિસેમ્બર : મુંબઇના એક પ્રતિષ્ઠિત અખબારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુબંઈમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા(આઇએસઆઇએસ - ISIS) પેશાવર જેવો હુમલો કરવાનું આયોજન કરી રહ્યું છે. આ અંગે મુંબઇના મિડ - ડે અખબારનો દાવો છે કે તેણે કલ્યાણના એક યુવાનની ટ્વીટને આધારે આવું તારણ કઢાયું છે.
ફહાદ શૈખ નામના આ યુવાને મુંબઈમાં ગુજરાતીઓ પર હુમલો કરવાની ધમકી આપી છે. આ ટ્વીટમાં લખ્યું છે કે 26/11નો હુમલો કરાયો કારણ કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મુસ્લિમોની કતલ કરાઈ હતી. હવે તેઓ ફર્સ્ટ ક્લાસ....બૂમ...
આવા ટ્વીટ અંગે આઇબી અધિકારીઓનું માનવું છે કે આ મેસેજથી સ્પષ્ટ છે કે કલ્યાણ મૂળના આ યુવાને ગુજરાતી સમુદાયને નિશાન બનાવવાની વાત કરી છે. તેમનો દાવો છે કે ગુજરાતમાં થયેલા રમખાણોએ આવા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

હુમલાની શક્યતાને પગલે મુંબઈ પોલીસ એલર્ટ બની ગઈ છે. મુંબઈના ગુજરાતી લોકોની વધારે વસતી ધરાવતા વિસ્તારો જેવા કે મુલુન્ડ, ઘાટકોપર, વિલેપાર્લે, કાંદિવલી, બોલીવલી અને દહીસર સહિતના વિસ્તારોમાં હાઈ અલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈના નોર્થ રીજનમાં પણ પોલીસને હાઈ અલર્ટ પર રખાઈ છે અને પોલીસમેનોની છુટ્ટી કેન્સલ કરવામાં આવી છે. ગોરેગામથી દહિસર સુધીનાં તમામ ૧૬ પોલીસ-સ્ટેશનો હાઈ અલર્ટ પર છે.
શહેરના ડેપ્યૂટી કમિશ્નર વી રાઠોડ કે જેમના ચાર્જમાં મુલુન્ડ, ઘાટકોપર અને વિદ્યાવિહાર વિસ્તારો આવે છે, તેમણે જણાવ્યું કે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. અમે અમારી સુરક્ષા વધારી દીધી છે. એન્ટી ટેરર સેલ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. આ સાથે ભીડભાડ વાળા વિસ્તારોમાં સાદા ગણવેશમાં પોલીસ જવાનો પહેરો ભરી રહ્યા છે.
મહત્વનું છે કે પેશાવર હુમલા બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે. જેને પગલે દેશના મોટા ભાગના રાજ્યોમાં જાન્યુઆરી સુધી અલર્ટ જાહેર કરાયું છે.












Click it and Unblock the Notifications
