ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસની પુષ્ટિ થઈ : આરોગ્ય મંત્રાલય
સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ચિંતિત છે. આને રોકવા માટે ભારત સરકારે ઘણા કડક પગલાં પણ લીધા હતા, પરંતુ હવે એક તંગદિલીભર્યા સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્હી : સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ચિંતિત છે. આને રોકવા માટે ભારત સરકારે ઘણા કડક પગલાં પણ લીધા હતા, પરંતુ હવે એક તંગદિલીભર્યા સમાચાર સામે આવ્યા છે.
ગુરુવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસની પુષ્ટિ થઈ છે. બંને દર્દીઓ તબીબોની દેખરેખ હેઠળ છે અને તેમની હાલત હવે સ્થિર છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે અને તેમને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.
આ મામલે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં બે પુરુષો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે. જેમાં એકની ઉંમર 66 વર્ષ અને બીજાની 46 વર્ષની છે. તેમની ગોપનીયતાના રક્ષણ માટે મંત્રાલયે બંનેની સંપૂર્ણ ઓળખ જાહેર કરી નથી.
આ સાથે લવ અગ્રવાલે વધુમાં કહ્યું કે, બંને દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે. તેમજ તેમને આઈસોલેટ કર્યા બાદ તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દરેક પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.