UN એજન્સીનો દાવો : ઉત્તરાખંડ હોનારાતમાં 11000 લોકો ગુમ
અત્યાર સુધી કેદારનાથમાં 580 લોકોના મોત થયા હોવાની વાત એનડીઆરએફની ટીમ કરતી હતી. આ સાથે તેણે 8534 લોકોને બચાવવાનો દાવો પણ કર્યો હતો. ટીમે જણાવ્યું કે અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાં બચાવેલા લોકોની કુલ સંખ્યા 1,08,253 પર પહોંચી ગઇ છે.
આ અંગે રેડ્ડીએ જણાવ્યું કે રાજ્યમાં આવેલી આફતમાં ગુમ થયેલા લોકોના સંબંધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોને આધારે કહી શકાય કે ગુમ થયેલા લોકોની સંખ્યા અંદાજે 3500થી 3700ની આસપાસ છે. પણ સંયુક્ત રાષ્ટ્ર અને એક એનજીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી અનુસાર ગુમ થયેલા લોકોની સંખ્યા 11,000 કરતા વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એનડીએમએના ઉપાધ્યક્ષ રેડ્ડીએ માહિતી આપી કે સૌથી વધારે જાનહાનિ કેદારનાથ અને રામવાડામાં થઇ છે. આ આફતમાં અત્યાર સુધીમાં 3119 લોકો ઘાયલ થયા છે. રેડ્ડીના જણાવ્યા અનુસાર હવે આફતથી પ્રભાવિત ગામડાંઓની સંખ્યા 2375થી વધીને 4200 સુધી પહોંચી ગઇ છે. તેમાંથી 2865ના રોડ રસ્તાનું સમારકામ કરી લેવામાં આવ્યું છે. જ્યારે 1335 ગામડાંઓમાં સંપર્ક સ્થાપિત કરવાનો હજી પણ બાકી છે. હજી પણ ઉત્તરાખંડમાં 737 માર્ગો એવા છે જે વાહનો ચલાવવા માટે સુરક્ષિત નથી.