ખેડૂત આંદોલન પર UN માનવાધિકાર સંસ્થાએ શાંતિપૂર્ણ પ્રદર્શનોનો બચાવ કર્યો
ખેડૂત આંદોલન પર UN માનવાધિકાર સંસ્થાએ શાંતિપૂર્ણ પ્રદર્શનોનો બચાવ કર્યો
ભારતના ખેડૂત આંદોલન પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પ્રથમ વખત નિવેદન આપ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર સંસ્થાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પ્રશાસન અને પ્રદર્શનકારીઓ બંનેને સંયમ રાખવાની અપીલ કરી છે.
યુએન હ્યૂમન રાઇટ્સે આ સાથે સલાહ આપતાં કહ્યું છે કે શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અને અભિવ્યક્તિના અધિકારોની ઑફલાઇન અને ઑનલાઇન બંને સ્થાને સુરક્ષા થવી જોઈએ.
સંસ્થાએ કહ્યું છે કે તમામ માનવાધિકારોનું સન્માન કરવાની સાથે ન્યાયસંગત સમાધાન કાઢવામાં આવે તેની જરૂર છે.
https://twitter.com/UNHumanRights/status/1357710206612946944
નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રે પ્રથમે બે મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા ખેડૂતપ્રદર્શનોને લઈને કંઈ કહ્યું હોય તેવું પહેલી વાર બન્યું છે.
આ પહેલાં કેટલીક પ્રસિદ્ધ હસ્તીઓ પણ ભારતના ખેડૂત આંદોલનને લઈને પ્રતિક્રિયા આપી ચૂકી છે, જેના પર ભારત સરકારે આપત્તિ વ્યક્ત કરી હતી.
બે ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ગાયિકા રિહાનાએ આ મુદ્દે ટ્વીટ કર્યું હતું કે, “આ વિશે કોઈ વાત કેમ નથી કરી રહ્યું?”
ત્યાર બાદ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનાં ભાણેજ મીના હેરિસ, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને ભૂતપૂર્વ પૉર્ન સ્ટાર મિયા ખલીફાએ પણ આ મુદ્દે ટ્વીટ કર્યું હતું.
પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલને પોતાનું સમર્થન આપ્યું છે અને મીના હેરિસે લખ્યું છે કે, “આપણે બધાએ ભારતમાં ઇન્ટરનેટ શટડાઉન અને ખેડૂત પ્રદર્શનકારીઓ પર સુરક્ષાબળો દ્વારા હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરવી જોઈએ.”
રિહાનાનાં ટ્વીટના બીજા દિવસે એટલે ત્રણ ફેબ્રુઆરીએ ભારત સરકારના વિદેશમંત્રાલયે એક નિવેદન જારી કર્યું હતું.
ભારત સરકારે કર્યો બચાવ
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય હસ્તીઓ તરફથી કરાયેલા ટ્વીટ્સ બાદ કોઈનું ય નામ લીધા વગર ટિપ્પણી કરી અને કહ્યું કે સોશિયલ મીડિયા પર મોટી હસ્તીઓએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.
મંત્રાલયે કહ્યું, “ભારતની સંસદે વ્યાપક ચર્ચા બાદ, કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત સુધારાવાદી કાયદા પસાર કર્યા છે. આ સુધારા ખેડૂતોને વધુ લવચીકતા અ બજારમાં વ્યાપક પહોંચ પ્રદાન કરે છે. આ સુધારા આર્થિક અ પારિસ્થિતિક રૂપે ખેતીનો માર્ગ પ્રશસ્ત કરે છે.”
સાથે કહ્યું, “ભારતના અમુક ભાગમાં ખેડૂતોનો ખૂબ નાનો વર્ગ આ સુધારા સાથે સંમત નથી. ભારત સરકારે પ્રદર્શનકારીઓની ભાવનાઓનું સન્માન કરીને, તેમના પ્રતિનિધિઓ સાથે વાતચીત શરૂ કરી છે. આ કોશિશમાં અત્યાર સુધી 11 તબક્કાની વાતચીત થઈ ચૂકી છે જેમાં કેન્દ્રીય મંત્રી ભાગ લઈ રહ્યા છે. સરકાર જ નહીં, ભારતના વડા પ્રધાન તરફથી પણ આ કાયદા સ્થગિત કરવાનો પ્રસ્તવા મૂકવામાં આવ્યો છે.”
https://twitter.com/MEAIndia/status/1356853835361259520
વિદેશમંત્રાલય તરફથી કહેવાયું છે કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ગ્રૂપ્સ તરફથી આ આંદોલનોને પાટા પરથી ઉતારવાની કોશિશ થઈ રહી છે આ સ્વાર્થ સમૂહો પૈકી કેટલાકે ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની પણ કોશિશ કરી છે.
મંત્રાલયે કહ્યું છે કે આવા મામલા પર ટિપ્પણી કરતાં પહેલાં, અમે આગ્રહ કરીશું કે તથ્યો અંગે જાણકારી મેળવવામાં આવે, અને મુદ્દાઓની ઉચિત સમજ પેદા કરવામાં આવે. “ખ્યાતનામ હસ્તીઓ દ્વારા સોશિયલ મીડિયાના સનસની પેદા કરતા હૅશટૅગ અને ટિપ્પણીઓના પ્રલોભનનો શિકાર થવું ન તો ઉચિત કહી અને ના તો જવાબદાર.”
વિદેશમંત્રાલયે પોતાની પોસ્ટમાં બે હૅશટૅગનો ઉપયોગ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, “આ વિરોધને ભારતના લોકતાંત્રિક લોકાચાર અને રાજકારણના સંદર્ભમાં વધુ ઘર્ષણના નિવારણ માટે સરકાર અને સંબંધિત ખેડૂતસમૂહોના પ્રયાસો સાથે જોવા જોઈએ.”
ત્યાર બાદ ભારત સરકારના મંત્રીઓ સહિત ઘણા ખેલાડીઓ, ફિલ્મી હસ્તીઓ, ગાયિકાઓએ પણ સરકારના સમર્થનમાં ટ્વીટ કર્યાં.
- 'અમિત શાહના પુત્ર પાસે એવડી મોટી કંઈ ડિગ્રી છે કે સરકાર એમનો ઉપયોગ કરી રહી છે?'- પ્રહલાદ મોદી
- ભાવના જાટ : એક પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધા વિના ઑલિમ્પિકમાં પહોંચનારાં રેસ વૉકર
નેતા બોલ્યા, ફિલ્મ સ્ટાર સરકારના સમર્થનમાં ઊતર્યા
ગૃહમંત્રી અમિત શાહે વિદેશમંત્રાલયના નિવેદન સાથે ટ્વીટ કરતાં લખ્યું – “કોઈ પણ પ્રકારનો દુષ્પ્રચાર ભારતની એકતાને તોડી શકતો નથી. કોઈ પણ દુષ્પ્રચાર ભારતને નવી ઊંચાઈ પર પહોંચવાથી નહીં રોકી શકે. ભારતનું ભવિષ્ય દુષ્પ્રચારથી નહીં પ્રગતિથી નક્કી થશે. ભારત પ્રગતિ માટ એક થઈને ખડું છે.”
ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ લખ્યું, “પ્રોપગેંડા ફેલાવનારા અને બનાવટી વાતો ફેલાવનારાઓની કોશિશ વિરુદ્ધ અમે બધા એક સાથે ઊભા છીએ.”
ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંડુલકરે લખ્યું, “ભારતનું સાર્વભૌમત્વ કૉમ્પ્રોમાઇઝ ન થઈ શકે. ભારતમાં જે પણ થઈ રહ્યું છે તેમાં બહારની તાકાતો દર્શક હોઈ શકે છે પ્રતિભાગી નહી. ભારતીયો ભારતને જાણે છે અને નિર્ણય તેમણે જ લેવાનો છે. આવો એક રાષ્ટ્ર તરીકે એકતાનું પ્રદર્શન કરીએ.”
સ્વર કોકિલા લતા મંગેશકરે પણ ટ્વીટ કર્યું, “ભારત એક ગૌરવશાળી રાષ્ટ્ર છે. એક ગૌરવપૂર્ણ ભારતીય હોવાને લીધે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાષ્ટ્ર તરીકે આપણી કોઈ પણ સમસ્યા હોય કે પરેશાની હોય, અમે તેનું સમાધાન સૌહાર્દપૂર્ણ રીતે, જનહિતની ભાવના સાથે કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છીએ.”
બીજી તરફ ભારતીય ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલીએ લખ્યું, “અસહમતિના આ સમયમાં આપણે બધા એક સાથે રહીએ. ખેડૂતો આપણા દેશનો અભિન્ન અંગ છે અને મને વિશ્વાસ છે કે તમામ પક્ષો સૌહાર્દપૂર્ણ સમાધાન શોધી લેશે જેથી શાંતિ જળવાઈ રહે અને આપણે બધા સાથે મળીને આગળ વધીશું.” આ સિવાય પણ ભારતના ઘણી પ્રખ્યાત હસ્તીઓએ સરકારના સમર્થનમાં ટ્વીટ કર્યાં હતાં.
નવેમ્બર માસથી દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની માગ છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિકાયદા પાછા ખેંચે, જ્યારે સરકાર 18 મહિના સુધી આ કાયદાઓ લાગુ ન કરવાની વાત કરી રહી છે.
બંને પક્ષો વચ્ચે આ મુદ્દાને લઈને ઘણા તબક્કાની વાતચીત થઈ છે પરંતુ હજુ સુધી તેનું કોઈ પરિણામ આવી શક્યું નથી.
દરમિયાન 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ખેડૂતોએ ટ્રૅક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂત પોતાનાં ટ્રૅક્ટર લઈને દિલ્હીની અંદર પ્રવેશ્યા હતા. એક સમૂહે લાલ કિલ્લા પર શીખ સમુદાયનો કેસર ધ્વજ પણ ફરકાવ્યો હતો.
આ ઘટના બાદથી જ દિલ્હીની સીમાઓ પર (સિંઘુ, ગાઝીપુર અને ટિકરી બૉર્ડર) પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવાઈ છે. ત્યાં બૅરિકેડિંગ અને કૉન્ક્રીટ બ્લૉક્સ સિવાયા કાંટાળા તાર પાથરવામાં આવ્યા છે.
ખેડૂત આંદોલનમાં આવી રહેલ અપડેટ સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સમાચાર બની રહી છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=RcmR3n2H0ko
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો