ઉન્નાવ : ખેતરમાં બેભાન હાલતમાં મળી ત્રણ છોકરીઓ, બેનું મૃત્યુ
ઉન્નાવ : ખેતરમાં બેભાન હાલતમાં મળી ત્રણ છોકરીઓ, બેનું મૃત્યુ
ઉન્નાવ જિલ્લામાં બુધવારે હોબાળો મછી ગયો જ્યારે ત્રણ કિશોરીઓ એક ખેતરમાં બેભાન અવસ્થામાં કથિતપણે કપડાથી બંધાયેલી હાલતમાં મળી આવી.
તે પૈકી બેનું મૃત્યુ થયું છે જ્યારે એક કિશોરીની હૉસ્પિટલમાં સારવાર થઈ રહ છે.
ઉન્નાવ પોલીસ અધીક્ષક સુરેશરાવ કુલકર્ણીએ બીબીસીને કહ્યું, “આ અસોહા સ્ટેશન ક્ષેત્રનો મામલો છે. ત્રણ છોકરીઓ પોતાના જ ખેતરમાં બેભાન અવસ્થામાં મળી હતી, અને ત્રણેયના હાથ બંધાયેલા હતા. તેમને હૉસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં જ્યાં બે યુવતીઓનું મૃત્યુ થઈ ગયું છે. એકની સારવાર ચાલી રહી છે.”
https://twitter.com/unnaopolice/status/1362084416034541570
તેમણે જણાવ્યું, “પ્રથમ દૃષ્ટિએ તો એવી વાત સામે આવી છે કે છોકરીઓ ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ હતી. ઝેર અપાયું હોવાની વાત સામે આવી છે. ઘટનાસ્થળે ફીણ વગેરે મળ્યું છે. સમગ્ર મામલાની તપાસ કરાઈ રહી છે.”
હજુ સુધી શું ખબર પડી છે?
અસોહા સ્ટેશન વિસ્તારના બબુરહા ગામમાં બુધવારે મોડી સાંજે ખેતરમાં ત્રણ કિશોરીઓ બેભાન અવસ્થામાં મળી હતી.
બબુરહા ગામની ત્રણ છોકરીઓ બુધવારે બપોરે પશુઓ માટે ચારો લેવા ખેતરમાં ગઈ હતી પરંતુ જ્યારે તેઓ મોડી સાંજ સુધી પરત ન ફરી ત્યારે તેમની શોધખોળ શરૂ થઈ. ત્રણેય યુવતીઓ ગામના જ ખેતરમાં બેભાન અવસ્થામાં મળી આવી અને તેમને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી.
આ ત્રણેય પૈકી બે સગાં બહેનો અને એક કાકેરી બહેન હોવાનું જણાવાઈ રહ્યું છે.
ત્રણેય પૈકી બે સગાં બહેનોના ભાઈ વિશાલે કાનપુરના સ્થાનિક પત્રકાર રવિને કહ્યું, “ત્રણેય છોકરીઓ ચારો લેવા માટે ગઈ હતી જ્યારે તેઓ ઘરે પરત ન ફરી અને તેમની શોધખોળ શરૂ થઈ તો એક ખેતરમાં તેઓ બેભાન અવસ્થામાં કપડા સાથે બંધાયેલી હાલતમાં મળી આવી. ત્રણેય પૈકી બે મારી બહેનો છે અને એક કાકાની દીકરી છે. અમારી કોઈની સાથે કોઈ દુશ્મનાવટ નથી.”
સ્થાનિક પત્રકાર રવિએ કહ્યું કે ઉન્નાના જિલ્લા હૉસ્પિટલના સીએએસ ડૉક્ટર બી. બી. ભટ્ટે પુષ્ટિ કરી છે કે જે છોકરી જીવિત બચ્યાં છે તેમની હાલત પણ અત્યંત ગંભીર છે.
ડૉક્ટર ભટ્ટે જણાવ્યું જ્યારે છોકરીને હૉસ્પિટલ લઈ જવાયાં ત્યારે તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને એવું લાગી રહ્યું હતું કે જંતુનાશક ખાધા બાદ આ થયું છે.
પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે છોકરીઓએ કઈ પરિસ્થિતિમાં ઝેરી પદાર્થ ખાધું છે કે પછી કોઈ અન્યે તેમને ઝેર આપ્યું છે.
પોલીસ અધીક્ષક કુલકર્ણી પ્રમાણે, દરેક ઍન્ગલની તપાસ થઈ રહી છે. ઘટનાના તરત બાદ ઉન્નાવના ડીએમ અને એસપી સહિત ઘણા અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા. ગામમાં મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો