તમામ કોંગ્રેસી રાજ્યપાલ છોડશે પદ, ત્રણનું રાજીનામુ
નવી દિલ્હી, 17 જૂન: કેન્દ્ર સરકારમાં સત્તા પરિવર્તનના કેટલાંક દિવસો બાદ હવે રાજ્યપાલે પોતાના પદથી રાજીનામુ આપવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને અસમના રાજ્યપાલોએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું. સૌથી પહેલા રાજીનામુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બીએલ જોશીએ આપ્યું. થોડા સમય બાદ કર્ણાટકના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ અને અસમના રાજ્યપાલ જપી પટનાયકે પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિને મોકલી આપ્યું.
સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે છ રાજ્યપલોને રાજીનામુ આપવા માટે જણાવ્યું હતું. આની વચ્ચે રાજસ્થાનની રાજ્યપાલ માગ્રેટ આલ્વાએ પણ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. સૂત્રોની માનીએ તો અલ્વાએ પણ પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિને મોકલી શકે છે.
પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી મોદી અને અલ્વાની વચ્ચેની આ મુલાકાત અંગે કોઇ અન્ય જાણકારી આપ્યા વગર આને 'સૌજન્ય મુલાકાત' ગણાવી છે.
આ પહેલા મંગળવારે મીડિયામાં સમાચારો આવ્યા કે મોદી સરકાર પાંચ રાજ્યપાલોને બદલવાનો વિચાર કરી રહી છે. આ પાંચ રાજ્યપાલોમાં દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, બીએલ જોશી, રામ નરેશ યાદવ, એમકે નારાયણ અને શિવરાજ પાટિલ નામ છે.
ચર્ચા છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓને જે કેબિનેટમાં સ્થાન નથી મળ્યું, તેમને રાજ્યપાલ બનાવી શકાય છે. એવા નેતાઓમાં મુરલી મનોહર જોશી, લાલજી ટંડન, કેસરીનાથ ત્રિપાઠી, વીકે મલ્હોત્રા, કલ્યાણ સિંહ, શાંતા કુમાર અને બીસી ખંડૂરીના નામનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર જોશીને મહારાષ્ટ્રના રાજ્યપાલ, જ્યારે બાડમેરથી અપક્ષ ચૂંટણી લડનાર જસવંત સિંહને તમિલનાડુના રાજ્યપાલ બનાવાય તેવી સંભાવના છે.