અઢી કરોડ મોબાઇલ વહેંચીને UPA ફરી સત્તા મેળવી શકશે?
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : દરેક જગ્યાએ પોતાની ચૂંટણી પ્રચાર રેલીઓમાં મનરેગાનો જાપ જપનારા રાહુલ ગાંધીએ આ યોજના દ્વારા એકવાર ફરી સત્તા મેળવવાનું સપનું સજાવીને રાખ્યું છે. જો કે આ વખતે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે લોકોને રોજગાર નહીં પરંતુ અંદાજે અઢી કરોડ મોબાઇલ ફોન આપવાનો નિર્ણય લીધો છે. વળી આ ફોન સાદા નહીં પણ તેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય તેવા સક્ષમ હશે.
યુપીએની નવી યોજના અનુસાર મનરેગા અંતર્ગત નોંધાયેલા પ્રત્યેક પરિવારના એક સભ્યને એક મોબાઇલ આપવામાં આવશે. આ ઉપરાંત બે વર્ષ સુધી દર મહિને રૂપિયા 30નું મફત રિચાર્જ કરી આપવામાં આવશે. જેના પર વપરાશકર્તાને પ્રતિ માસ 30 મીનિટ સુધી વાત કરવાની 30 એસએમએસ અને 30 એમબી સુધી ઇન્ટરનેટનો મફત વપરાશ કરવાની સુવિધા આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત યુપીએ સરકાર પ્રથમ વર્ષે 25 લાખ લોકોને મોબાઇલ હેન્ડસેટ અને તેની સાથેનું માસિક રિચાર્જ મફત આપશે. જ્યારે બીજા વર્ષે 50 લાખ લોકોને મોબાઇલ આપવામાં આવશે. આ યોજનામાં મોબાઇલ વહેંચણીમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ માટે પ્રત્યેક લાભાર્થીએ રૂપિયા 300 આપવાના રહેશે. સાર્વભૌમિક સેવા જવાબદારી નિધિ દ્વારા આર્થિક રીતે મદદ પૂરી પાડનારી યોજનામાં અંદાજે રૂપિયા 4850 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રકમ ગ્રામ્ય અને અંતરિયાળ ક્ષેત્રોમાં રહેતા લોકોને સસ્તા દરે તાર સેવા ઉપલબ્ધ કરાવે છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનાનો હેતુ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં દૂરસંચારની વ્યવસ્થાને વધારે મજબૂત બનાવીને લોકોને રોજગારી મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે. જો કે આ બાબતને રાજકીય વિશ્લેષકો અલગ દ્રષ્ટિથી જોઇ રહ્યા છે. રાજકીય વિશ્લેષકો તેને લોકસભા ચૂંટણી 2014માં ગ્રામ્ય મતદારોને આકર્ષિત કરવાની એક યોજના તરીકે જોઇ રહ્યા છે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2009માં પણ કેન્દ્રની યુપીએ સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેટન્ટી યોજના (મનરેગા) અને ખેડૂતોના દેવા માફીની યોજના અમલમાં મૂકીને ગ્રામ્ય વિસ્તારોના લોકોની સહાનુભૂતિ મેળવી સત્તા પ્રાપ્ત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે લોકોને મફત મોબાઇલની યોજના ગમે છે કે નહીં. આ યોજના યુપીએ સરકારને લોકસભા ચૂંટણી 2014માં સત્તાનો તાજ મેળવવામાં મદદ કરી શકે છે કે નહીં. વર્તમાન સમયમાં યુપીએ સરકાર કૌભાંડો, આર્થિક મંદી, મોંધવારી અને નબળા શાસન જેવા અનેક પ્રશ્નો પર ઘેરાયેલી છે.