ગાંધીનગર, 18 એપ્રિલ: 7 એપ્રિલથી દેશમાં ચૂંટણીનો મહોત્સવ ચાલી રહ્યો છે, દેશમાં પાંચ તક્કાનું મતદાન થઇ ચૂક્યું છે અને હજી ચાર તબક્કામાં મતદાન થવાનું બાકી છે. અત્યાર સુધી આવેલા પોલ, સર્વે અને લોકોના મોદી પ્રત્યેના ઉત્સાહને જોતા એવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે દેશમાં હવે પછીની સરકાર ભાજપની બનવા જઇ રહી છે. અત્યાર સુધી 272+ બેઠકોનો દાવો કરનારી ભાજપ પણ હવે 300 જેટલી બેઠકો મેળવવાનો દાવો કરી રહી છે.
નરેન્દ્ર મોદી પણ હવે પોતાના ભાષણોમાં એવું ઠોકવગાડીને કહેતા જોવા મળ્યા છે કે 'દેશમાં મજબૂત સરકાર બનાવવાની જરૂર છે, હવે દેશને ઢીલીઢાલી સરકારની જરૂરત નથી, માટે 300 કમળ સાથે દેશમાં ભાજપની સરકાર બનશે.' મીડિયા સાથેની વાતચીતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે પણ કહ્યું છે કે ભાજપ 300 જેટલી બેઠકો પર પોતાનો વિજય પરચમ લહેરાવશે અને કેન્દ્રમાં પોતાની મજબૂત સરકાર બનાવશે.
મુદ્દાની વાત પર આવીએ તો, જો ભારતીય જનતા પાર્ટી તરફથી અને તેમના દિગ્ગજ નેતાઓ તરફથી સરકાર બનાવવાના કરવામાં આવેવા દાવા તેમજ અઢળક સર્વેના સમિકરણો સાચા પડે, એટલે કે ખરેખર દેશની જનતા વડાપ્રધાન તરીકે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને વોટિંગ કરે છે તો એ માનવું ખોટું નથી કે કેન્દ્રની યુપીએ સરકાર હવે આજથી 27 દિવસ જ છે. કારણ કે ભાજપના બધાં પાસા યોગ્ય પડે છે તો 16મીના પરિણામો યુપીએ સરકારને કેન્દ્રમાંથી ઉખાડી ફેંકવા માટેના સાબિત થશે.
જોકે અનુમાન તો એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે યુપીએ સરકાર આ 27 દિવસોમાં ઘણી બધી ઉથલપાથલ મચાવી શકે છે, જોકે આચારસંહિતાને લીધે સંવેધાનિકરીતે હવે તેના હાથમાં કશુંજ નથી, પરંતુ આઝાદી બાદ લગભગ 60 વર્ષ સુધી કોંગ્રેસની યુપીએ સરકારે કેન્દ્રમાં રાજ કર્યું છે, જેમાં છેલ્લા દસ વર્ષથી તે સત્તામાં હોવાના કારણે દરેક મંત્રાલય, સરકારી સંસ્થાઓ, કાયદાકીય બાબતો પર તેમનો કેટલો દબદબો હશે તેનું અનુમાન લગાવી શકાય છે. જેમાં 'સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન'નો પણ સમાવેશ થાય છે. ઘણાબધા મામલાઓમાં વિવાદમાં આવ્યા બાદ સીબીઆઇને યુપીએ સરકારનો 'પોપટ' પણ કહેવામાં આવ્યો છે. ખુદ સીબીઆઇના ડાયરેક્ટર રંજીત સિન્હાએ પણ મીડિયા સામે કબૂલ્યું હતું કે આ સીબીઆઇ કેન્દ્ર સરકારનો પોપટ છે અને તેના તાબામાં કામ કરે છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર 2002ના ગોધરા રમખાણોના આરોપો લાગ્યા, તેની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી, સીબીઆઇએ મોદીને ક્લીન ચિટ આપી ત્યારથી સીબીઆઇ દેશના લોકોના નજરમાં આવ્યું હતું. ત્યારબાદ કોલસા કૌભાંડ, આદર્શ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ વગેરે જેવા કૌભાંડોમાં સીબીઆઇ બદનામ થતી રહી છે. હમણા છેલ્લો વિવાદ એ આવ્યો જ્યારે ભૂતપૂર્વ કોલ સેક્રેટરી પીસી પારખે કોલગેટ પર પોતાના પુસ્તકનું વિમોચન કર્યું. પીસી પારખે પોતાના પુસ્તકમાં સરકાર વિરોધી સવાલ ઉઠાવ્યા છે. જેના કારણે ફરીથી સીબીઆઇએ કોલગેટ મામલે તેમની પૂછપરછ કરવાની નોટિસ ફટકારી દીધી છે. આ ઘટના ઘટી ત્યારે આચારસંહિતા લાગી ચૂકી હતી, ત્રણ-ચાર તબક્કાનું મતદાન પણ થઇ ચૂક્યું હતું. જોકે વિશ્લેષકોનું માનવું છે કે કેન્દ્ર સરકારના દબાણથી તેમના પર ફરીથી પૂછપરછ કરવાનું દબાણ સીબીઆઇ પર લાદવામાં આવી રહ્યું છે, જો આ અનુમાન સાચું હોય તો હવે પછીના 27 દિવસોમાં કોંગ્રેસ વિરોધીયોને કેન્દ્ર સરકારનો આ 'પોપટ' ચાંચ મારીને ઘાયલ કરે તો નવાઇ નહીં...!
જુઓ કોને કોને ચાંચ મારીને ઘાયલ કરી શકે છે આ કેન્દ્રનો 'પોપટ'...
પીસી પારખ
ભૂતપૂર્વ કોલ સેક્રેટરી પીસી પારખે હાલમાં જ કોલગેટ પર પોતાના પુસ્તકનું વિમોચન કર્યું છે. પીસી પારખે પોતાના પુસ્તકમાં સરકાર વિરોધી સવાલ ઉઠાવ્યા છે. જેના કારણે ફરીથી સીબીઆઇએ કોલગેટ મામલે તેમની પૂછપરછ કરવાની નોટિસ ફટકારી દીધી છે.
રામવિલાસ પાસવાન
કોલસા કૌભાંડ સમયે રામવિલાસ પાસવાન કેન્દ્રમાં માઇનીંગ મંત્રી હતા. જોકે હવે તેમણે ભાજપ સાથે હાથ મિલાવી લેતા કોલગેટ મામલે તેમની પર પણ સીબીઆઇ ફરીથી તપાસ કરીને પોતાના બાનમાં લઇ શકે છે.
મુલાયમ સિંહ યાદવ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ પર પહેલાથી જ આવક કરતા વધારે સંપતિ હોવાનો મામલો ચાલી રહ્યો છે. અને હવે તેમણે કોંગ્રેસને સપોર્ટ કરવાની ના કહી દીધી છે, જેના પગલે સીબીઆઇ તેમને પણ આંતરી શકે છે.
માયાવતી
બહુજન સમાજવાદી પાર્ટીની અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશની ભૂતપૂર્વ મુખ્યમંત્રી પાસે પણ આવક કરતા વધારે સંપતિ હોવાની તપાસ સીબીઆઇ પાસે પેન્ડીંગ પડી છે, જેને સીબીઆઇ હાથમાં લઇને માયાવતીની તપાસ કરી શકે છે.