FICCIમાં PM મોદી: પૂર્વ સરકારે જનતાને લૂંટવાનું કામ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એફઆઇસીસીઆઇમાં હાજરી આપી હતી. અહીં તેમણે ઉદ્યોગપતિઓનું સંબોધન કહ્યું હતું. આ અંગે વધુ વાંચો અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એફઆઇસીસીઆઇમાં હાજરી આપી હતી. અહીં તેમણે ઉદ્યોગપતિઓનું સંબોધન કરતાં કહ્યું હતું કે, 'દેશને ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને કારણે ઘણી હેરાનગતિ થઇ છે, લોકો એનાથી છૂટકારો મેળવવા માંગે છે. રાજકીય પક્ષ હોય કે કોઇ સંગઠન, તેમના માટે મંથનનો વિષય છે કે, દેશની ભાવનાઓ અને જરૂરિયાતોને સમજતા ભાવી રણનીતિ કઇ રીતે બનાવવી. સ્વતંત્રતા પછીના વર્ષોમાં આપણી સામે અનેક પડકારો આવ્યા છે. 70 વર્ષોમાં એક એવી સિસ્ટમ ઘડાઇ છે, જેમાં ક્યાંક ને ક્યાંક કોઇ ને કોઇ ગરીબ કે સામાન્ય માણસ સિસ્ટમ સામે લડતું રહ્યું છે.' યુપીએ સરકાર પર હુમલો કરતાં તેમણે કહ્યું કે, 'ગત સરકારે બેંકો પર દબાણ કરી ઉદ્યોગપતિઓને લોન અપાવી, જનતાની કમાણી લૂંટી અને બેંકોની દુર્દશા કરી. ગત સરકારે અમારી વર્તમાન સરકારને NPA'Sનો બોજો આપ્યો છે.'
જનધન યોજના
'છેલ્લા 60 વર્ષોમાં સામાન્ય માણસે અનેક હેરાનગતિઓનો ભોગવી છે, તેમણે પોતાના નાના-મોટા કામ માટે આમ-તેમ ભટકવું પડતું હતું. સામાન્ય માણસ આ હેરાનગતિમાંથી છૂટે એ માટે અમારી સરકાર કામ કરી રહી છે, અમે એક પારદર્શી વાતાવરણ તૈયાર કરી રહ્યાં છીએ. જ્યારે જનધન યોજના શરૂ થઇ ત્યારે અમે લક્ષ્ય નક્કી નહોતા કરી શક્યા કે કેટલા ગરીબો માટે ખાતું ખોલાવવું, કારણ કે કોઇ ડાટા ઉપલબ્ધ નહોતો. 30 કરોડથી વધુ લોકોએ જનધન હેઠળ ખાતા ખોલાવ્યા છે. એક અભ્યાસ અનુસાર, ગ્રામીણ ક્ષેત્રોમાં જ્યાં આવા ખાતાઓ વધુ ખુલ્યા છે, ત્યાં મોંઘવારીમાં ઘટાડો થયો છે. ગરીબોએ નાનામાં નાની વસ્તુ માટે સંઘર્ષ કરવો પડ્યો છે. બેંક ખાતુ, ગેસ કનેક્શન, પેન્શન, સ્કૉલરશિપ માટે કમિશન આપવું પડતું હતું.'
સિસ્ટમ સામેની લડાઇ
'ગરીબોની સિસ્ટમ સામેની આ લડાઇ પૂર્ણ કરવાની દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે. અમે માત્ર પારદર્શી જ નહીં, સંવેદનશીલ સિસ્ટમનું નિર્માણ કરી રહ્યાં છીએ. એવી સિસ્ટમ જે લોકોની જરૂરિયાતોને સમજે. ગરીબ મહિલાઓએ અનેક શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો. સ્વાસ્થ્ય અને સુરક્ષા પર અસર ન થાય એ માટે સ્વચ્છ ભારત હેઠળ 5 કરોડથી વધુ શૌચાલયો બનાવડાવવામાં આવ્યા. ગરીબોને રહેવા માટે પાકા ઘર મળી શકે એ માટે અમે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી. જેટલો ખર્ચો એ લોકો ભાડા પર કરે છે, લગભગ એટલામાં જ તેમની પાસે પોતાનું ઘર હોય. હું ગરીબીની દુનિયામાંથી નીકળીને તમારી વચ્ચે આવ્યો છું. સીમિત સંસાધન, સીમિત અભ્યાસ વચ્ચેથી આવ્યો છું. આ દુનિયાએ જ મને શીખવાડ્યું છે કે, દેશની આવશ્યકતાઓ, ગરીબોની આવશ્યકતાઓને આપણે સમજીએ અને નિર્ણય લઇએ.'