પર્યાવરણ મંત્રાલયમાંથી મુંદ્રા પ્રોજેક્ટ સહિતની 45 ફાઇલો ગુમ
નવી દિલ્હી, 3 મે : યુપીએ સરકારના શાસનકાળને 10 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. હવે તેમના શાસનને પૂરા થવામાં માત્ર બે સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયમાંથી નીતિ વિષયક અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેકટને લગતી 45 જેટલી ફાઇલો ગુમ થઇ જતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગે અંગ્રેજી દૈનિક ડીએનએમાં એક ન્યુઝ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર જયંતિ નટરાજન અને વીરપ્પા મોઇલી પર્યાવરણ પ્રધાનો હતા ત્યારે આ બધી ફાઇલો પ્રોસેસમાં હતી. ફાઇલો ગુમ થવાનો મામલો સીબીઆઇના ધ્યાનમાં આવ્યો છે. સીબીઆઇના ઓફિસરો ગયા મહિને આ મામલે મંત્રાલયના ઓફિસરોને બે વખત મળ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિને પણ ઓફિસરોની પુછપરછ કરવામાં આવશે.
મંત્રાલયમાંથી ગુમ થયેલી ફાઇલોમાં ગુજરાતના કચ્છ જિલ્લાના મુંદ્રા પોર્ટ ખાતે ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમીક ઝોનને લગતી ફાઇલો પણ છે. પર્યાવરણ મંત્રાલય હજુ એ પણ તપાસ કરી રહ્યું છે કે, કઇ અને કેટલી ફાઇલો ગુમ થઇ છે ? સુત્રો કહે છે કે કદાચ એવું પણ બને કે 45 કરતા પણ વધુ ફાઇલો ગુમ થઇ હોય?
પર્યાવરણ મંત્રાલયના સુત્રો કહે છે કે અમે હાલ તુર્ત કહી શકીએ છીએ કે 45 ફાઇલો ગુમ થઇ છે. જો કે તેઓ કહે છે કે ગુમ થયેલી ફાઇલો કોઇ મહત્વના નીતિ વિષયક નિર્ણયોને સ્પર્શતી ન હતી ઉપરાંત કોઇ ઔદ્યોગિક ગ્રુપ માટે કે તેની વિરૂધ્ધ પગલુ લેવા માટેની પણ ફાઇલો નહોતી.
મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે ગુમ થયેલી ફાઇલો મામલે સીબીઆઇએ કોઇ પુછપરછ કરી ન હતી. સીબીઆઇએ ફાઇલોના પ્રોસેસીંગના વિલંબ માટે પુછયુ હતુ ઉપરાંત કહેવાતા ભ્રષ્ટાચાર અંગે પણ પુછપરછ કરી હતી.
બીજી તરફ સીબીઆઇના સુત્રો કહે છે કે ચૂંટણી પછી તે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરશે. તે એ બાબત ઉપર તપાસ કરશે કે મંત્રાલયમાંથી કેટલા વર્ષ પહેલાની ફાઇલો ગુમ થઇ છે. સીબીઆઇના ઓફિસરનું કહેવુ છે કે, વિવિધ લાભ માટે એવુ પણ બની શકે કે કેટલાક ઓફિસરોએ ફાઇલ ગુમ કરી દીધી હોય કે તેનો નાશ પણ કરી દીધી હોય.
ડીએનએ રિપોર્ટ જણાવે છે કે ગૌતમ અદાણીના કેસમાં મંત્રાલય પાસે મુળ ફાઇલની ફોટોકોપી છે. જો કે તે ઓથેન્ટીક ગણી ન શકાય. સુત્રો કહે છે કે મુંદ્રા પ્રોજેકટમાં કેટલાક નિયમોનો ભંગ થયો છે તેવી ફરિયાદની ફાઇલ હતી અને તેમાં તપાસ કરવાની હતી પરંતુ ફાઇલ ગુમ થઇ જવાથી અમે કોઇ પગલા લઇ શકયા નથી.