હવે UPSC પરીક્ષામાં ઉમેદવારોને વિચિત્ર પ્રશ્નો પૂછાશે
નવી દિલ્હી, 14 ઓગસ્ટ : તમારું પોસ્ટિંગ કોઇ હોસ્પિટલમાં થાય છે અને તમને જાણ થાય છે કે ત્યાંના ડોક્ટરોને પ્રાઇવેટ નર્સિંગહોમ સાથે 'જોડાણ' છે તો તમે શું કરશો? અત્યાર સુધી તમને કોણે સૌથી વધુ ઇમ્પ્રેસ કર્યા? તમારો બેસ્ટ ફ્રેન્ડ ચિટિંગ કરીને પાસ થાય છે તો તમે શું કરશો? અધિકારી તરીકે તમારા માટે સૌથી મહત્ત્વની વસ્તુ કઇ છે? આ વર્ષે સિવિલ સર્વિસીસની પરીક્ષામાં ભાગ લેનાર કેન્ડિડેટ્સે આવા જ વિચિત્ર પ્રશ્નોના જવાબ આપવા તૈયાર રહેવું પડશે.
દેશમાં આઇએએસ બનવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પાસ થવા હવે ઉમેદવારે પુસ્તકિયા જ્ઞાનથી આગળ વ્યાવહારિક દુનિયાની બારીક સમજ કેળવવી પડશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ મંગળવારે પોતાના નવા પેપર માટે સંભવિત સવાલોનું સેમ્પલ રજૂ કર્યું. આ વર્ષથી 250 માર્ક્સનું આ એક ખાસ પેપર જોડવામાં આવશે, જેમાં કેન્ડિડેટનું નૈતિક સ્તર પારખવામાં આવશે.
યુપીએસસી તરફથી રજૂ કવામાં આવેલા નમૂનાના પ્રશ્નપત્રમાં ઉમેદવારની મુશ્કેલ પરિસ્થિતિમાં લડવાની અને મનની દુવિધાઓ દૂર કરવાની ક્ષમતાને તપાસવામાં આવશે એવો સંકેત આપવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આગામી વર્ષે સિવિલ સર્વિસીસ એક્ઝામમાં આઇએએસ માટે પદની સંખ્યામાં વૃદ્ધિ કરી શકે છે. હાલમાં તે માટે છેલ્લાં ત્રણ વર્ષથી દર વર્ષે 180 બેઠક હોય છે.
તમામ રાજ્ય આઇએએસ અધિકારીઓની કમી સામે લડી રહ્યાં છે તે દૂર કરવા માટે તમામ રાજ્યએ પોતાના પીસીએસ અધિકારીઓને પણ રેગ્યુલર આપવાનું કહેવાયું છે. તમામ કવાયતો છતાં પણ તેની કમી પૂરી થઇ શકતી નથી. તેથી આવતા વર્ષે તેમાં વધુ 50 સીટ વધારવામાં આવે તેવાં એંધાણ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના જણાવ્યા મુજબ 2018 સુધી તમામ ખાલી પદને ભરવાનો ટાર્ગેટ રખાયો છે.