ઉત્તરાખંડ : "મૃત્યુઆંક 10000થી વધુ હોઇ શકે"
આજે પત્રકારો સાથેની વાતચીતમાં કુંજવાલે કહ્યું કે "ગઢવાલ વિસ્તારની મુલાકાત લઈને હું પાછો ફર્યો હતો ત્યારે એવું માનતો હતો કે મરણાંક 4000થી 5000નો હોઈ શકે છે. પણ મને મળેલી માહિતી અને લોકોએ જોયેલા મૃતદેહોના ઢગલા પરથી એવો અંદાજ લગાવી શકું છું કે મરણાંક કદાચ 10000ને પાર કરી જશે."
આ અગાઉ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન વિજય બહુગુણા કહી ચૂક્યા છે કે આ કુદરતી આફતમાં 1000થી વધારે લોકો માર્યા ગયાનો ભય છે. લશ્કર તથા અર્ધ લશ્કરી દળોના જવાનોની મદદથી અત્યાર સુધીમાં એક લાથી પણ વધારે લોકોને ઉગારી લેવામાં આવ્યા છે.
બદ્રીનાથ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી એક દિવસ અટકાવી દેવાયા બાદ આજથી ફરી શરૂ કરવામાં આવી છે. ત્યાંના પૂરગ્રસ્ત ગામડાંઓમાંથી 1313 યાત્રાળુઓને હેલિકોપ્ટરોની મદદથી ઉગારવામાં આવ્યા છે. રૂદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લાઓના ગામોમાં હજી સંપર્ક કરી શકાયો નથી. ત્યાં પૂરને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવાર નવાર અવરોધો આવી રહ્યા છે.