Vande Bharat: અમદાવાદ-મુંબઈ રૂટ પર 250 કિમીની ઝડપે દોડશે વંદે ભારત, જાણો ક્યારે થશે લોન્ચ
Vande Bharat: ભારતીય રેલવે તેના નેટવર્કને હાઈ-ટેક બનાવવા માટે સતત નવા આયામો સર કરી રહી છે. રેલ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે વર્ષ 2027માં વંદે ભારત ટ્રેનનું અત્યાધુનિક વર્ઝન 4.0 લોન્ચ કરવામાં આવશે. આ ટ્રેન ભારતની અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેન સાબિત થશે, જે પાટા પર 250 કિમી પ્રતિ કલાકની તોફાની ઝડપે દોડવા માટે સક્ષમ હશે.

અમદાવાદ-મુંબઈ રૂટને મળશે પ્રથમ ટ્રેન
રેલવેના જણાવ્યા અનુસાર, વંદે ભારત 4.0 ની પ્રથમ સેવા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવશે. આ રૂટ પર અત્યારે હાઈ-સ્પીડ ટ્રેનો માટે ટ્રેક અપગ્રેડેશન અને ટેકનિકલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેથી નવી ટેકનોલોજી ધરાવતી ટ્રેનો સુરક્ષિત રીતે ચલાવી શકાય.
શું હશે વંદે ભારત 4.0 ની વિશેષતાઓ?
વંદે ભારત પ્રોજેક્ટ સાથે જોડાયેલા નિષ્ણાત સુધાંશુ મણીના જણાવ્યા મુજબ, આ ટ્રેનને ભવિષ્યની જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવી છે.
- કવચ 5.0 સુરક્ષા સિસ્ટમ: અકસ્માત રોકવા માટે આ ટ્રેન લેટેસ્ટ 'કવચ' ટેકનોલોજીથી સજ્જ હશે.
- ભવિષ્યની સ્પીડ: આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ભવિષ્યમાં જો સ્પેશિયલ કોરિડોર બને તો તેને 350 કિમી/કલાક સુધીની ઝડપે પણ દોડાવી શકાશે.
- સુવિધાઓ: તેમાં એરોડાયનેમિક ડિઝાઇન અને પ્રીમિયમ પેસેન્જર સુવિધાઓ જોવા મળશે.
વંદે ભારતની અત્યાર સુધીની સફર
- 2019: પ્રથમ વંદે ભારત ટ્રેન શરૂ થઈ.
- 2022: વંદે ભારત 2.0 લોન્ચ કરવામાં આવ્યું.
- 2025: વંદે ભારત 3.0 ઓપરેશનલ થયું.
- 2026: લાંબા અંતર માટે વંદે ભારત સ્લીપર ટ્રેન લોન્ચ કરવામાં આવી.
રેલવેનો 'મિશન 2047' ટાર્ગેટ
- ભારતીય રેલવેએ મુસાફરોના આરામ અને સમયની બચત માટે મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
- હાલમાં દેશના 274 જિલ્લાઓને આવરી લેતી 164 વંદે ભારત ટ્રેનો કાર્યરત છે.
- વર્ષ 2030 સુધીમાં 800 વંદે ભારત ટ્રેનો દોડાવવાનું લક્ષ્ય છે.
- વર્ષ 2047 સુધીમાં આ સંખ્યા વધારીને 4500 સુધી પહોંચાડવાની યોજના છે.
ટૂંક સમયમાં કોલકાતા અને ગુવાહાટી વચ્ચે પણ પ્રથમ સ્લીપર વંદે ભારત શરૂ થવા જઈ રહી છે, જે લાંબા અંતરની મુસાફરીનો ચહેરો બદલી નાખશે.












Click it and Unblock the Notifications
