ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.
દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.
છત્તીસગઢની તમામ 11 બેઠકો પર ભાજપ આવશેઃ રમણ સિંહ
છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મિશન 272ના લક્ષ્યને પૂર્ણ કરવામાં છત્તીસગઢનું 100 ટકા યોગદાન હશે અને તમામ 11 બેઠકો પર ભાજપ જીતશે.
સોનિયા ગાંધી આજે ભરશે નામાંકન
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પર આજે પોતાનું નામાંકન દાખલ કરશે. રાયબરેલીમાં 30 એપ્રિલે મતદાન છે. સોનિયા સવારે સાડા દશ વાગ્યે ફુર્સતગંજ ગેસ્ટહાઉસ પહોંચશે. બાદમાં શહેરના કેન્દ્રીય કાર્યાલયે જઇને હવન કરશે. બપોરે સાડા બાર વાગ્યે કલેક્ટ્રેટ જઇને નામાંકન ભરશે.
વરૂણ ગાંધીએ કર્યા રાહુલ ગાંધીના વખાણ
ભાજપ ઉમેદવાર વરુણ ગાંધીએ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. વરુણે એક સભામાં બોલતા કહ્યું કે લઘુ ઉદ્યોગને એ જ રીતે વધારવાની જરૂર છે, જે રીતે અમેઠીમાં રાહુલે સેલ્ફ હેલ્પ ગ્રુપનો સફળ પ્રયોગ કર્યો છે.
‘આપ'માં ટિકિટ પરત કરવાનો સિલસિલો યથાવત
આમ આદમી પાર્ટીમાં ટિકિટ પરત કરવાનો સિલસિલો યથાવત છે. એક પછી એક પાર્ટીના અનેક ઉમેદવાર ટિકિટ પરત કરી ચૂક્યા છે. હવે યુપીના કૌશંબી અને પંજાબના જલંધરના ઉમેદવારોએ ટિકિટ પરત કરી દીધી છે.
‘મોદી પીએમ બનશે તો પાકિસ્તાનની અક્કલ ઠેકાણે આવી જશે'
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મોદીના નજીકના ગણાતા અમિત શાહે કહ્યું છે કે, જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો પાકિસ્તાન ક્યારેય આપણા સૈનિકોના માથા કાપીને લઇ જવાનું દુસ્સાહસ નહીં કરે અને ના ચીનના હેલિકોપ્ટર ક્યારેય અરૂણાચલ પ્રદેશમાં ઉતરશે.