Parliament Special Session : નવા સંસદના ગજદ્વાર પર ઉપરાષ્ટ્રપતિએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, 18 સપ્ટેમ્બરથી શરૂ થશે
Parliament Special Session : સંસદનું વિશેષ સત્ર સોમવારના રોજ એટલે કે 18 સપ્ટેમ્બરના રોજથી શરૂ થવા જઇ રહ્યું છે. તેના એક દિવસ પહેલા નવા સંસદ ભવનમાં આજે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદિપ ધનખડે સંસદ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સહિત રાજ્યસભા અને લોકસભામાં વિવિધ પક્ષોના નેતાઓ પણ હાજર હતા. ધ્વજ ફરકાવતા પહેલા ધનખડ અને બિરલાને CRPFના પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ દ્વારા અલગથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ દરમિયાન જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે. ભારત યુગના પરિવર્તનનો સાક્ષી છે. વિશ્વ ભારતની શક્તિ અને યોગદાનને સંપૂર્ણ રીતે ઓળખી રહ્યું છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં આપણે વિકાસ, સિદ્ધિઓ જોઈ રહ્યા છીએ. કાર્યક્રમમાં ઉપસ્થિત નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, ભારતના ઈતિહાસમાં આ એક નવો અધ્યાય શરૂ થયો છે. અમે રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે અમે નવા સંસદ ભવન તરફ જઈશું અને હવે તે દિવસ આવી ગયો છે.
આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. તેમણે આરોપ લગાવ્યો કે, તેને આ આમંત્રણ મોડું મળ્યું હતું. તેમણે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને પણ પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કાર્યક્રમ માટે મોડા આમંત્રણ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે છે, જ્યારે ખડગેજીને 15 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સરકારને પહેલાથી જ ખબર હતી કે, અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની પહેલાથી જ નિર્ધારિત બેઠક હૈદરાબાદમાં 16-17 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
કેવી છે નવી સંસદ ભવન? - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર, 2020ના રોજ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તેનું ઉદ્ઘાટન 28 મે 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. નવી સંસદ ભવન 29 મહિનામાં પૂર્ણ થયું હતું. નવી સંસદ ભવન ત્રિકોણાકાર આકારમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેથી મહત્તમ જગ્યાનો ઉપયોગ કરી શકાય. તે 64,500 ચોરસ મીટરમાં બનેલ છે. તેને બનાવવામાં 862 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
જૂના સંસદ ગૃહમાં લોકસભામાં 545 અને રાજ્યસભામાં 245 સાંસદો માટે બેઠક છે. જ્યારે નવી બિલ્ડિંગમાં લોકસભાની ચેમ્બરમાં 888 સાંસદો બેસી શકશે. સંયુક્ત સંસદ સત્રના કિસ્સામાં, 1,272 સાંસદો બેસી શકશે. જ્યારે રાજ્યસભાની ચેમ્બરમાં 384 સાંસદો સરળતાથી બેસી શકે છે. નવી સંસદમાં લોકસભા ચેમ્બરને રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર અને રાજ્યસભા ચેમ્બરને રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર ડિઝાઇન કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
