આસારામને નહીં મળે રાહત, SCએ સ્થગિત કરી જામીનની સુનવણી
આસારામના મામલે દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાઓની તપાસ 29 જાન્યુઆરીથી શરૂ થશે. આ પછી સુપ્રીમ કોર્ટે આસારામના જામીનની અરજી પર સુનવણી 9 અઠવાડિયા માટે સ્થગિત કરી છે
સોમવારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે, આસારામના મામલે દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાઓની તપાસ 29 જાન્યુઆરીથી શરૂ થશે. આ પછી સુપ્રીમ કોર્ટે આસારામના જામીનની અરજી પર સુનવણી 9 અઠવાડિયા માટે સ્થગિત કરી છે અને કહ્યું કે, પીડિતાની તપાસ બાદ આ મામલાની સુનવણી કરવામાં આવશે. શરૂઆતમાં જામીનની અરજી નકારવાના ઇચ્છુક ન્યાયમૂર્તિ એનવી રમણા અને ન્યાયમૂર્તિ એએમ સપ્રેએ કહ્યું કે, પીડિતાઓ સાથે ક્રોસ એક્ઝામિનેશન પૂર્ણ થયા બાદ અરજીકર્તા ફરીથી સંપર્ક કરી શકે છે. કોર્ટે 15 જાન્યુઆરીના રોજ આસારામ સંબંધિત બળાત્કારના મામલે સુનવણીની સ્થિતિ પૂછતાં ગુજરાત સરકારને આ સંબંધિત પ્રગતિનો રિપોર્ટ આપવાનું કહ્યું હતું.
આ દરમિયાન આસારામના વકીલે ન્યાયાલયને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલી રહેલા કેસના 92 સાક્ષીઓમાંથી 22 સાથે ક્રોસ એક્ઝામિનેશન પૂર્ણ થઇ ચૂક્યું છે, 14 સાક્ષીઓ જાતે આની બહાર થઇ ગયા છે અને અન્યોનું ક્રોસ એક્ઝામિનેશન બાકી છે. ઉલ્લેખનીય છે કે, 28 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના મામલે થતી ધીરી કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને આ અંગે રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. ગત વર્ષે 12 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાતની અદાલતને આસારામ વિરુદ્ધ સુરતમાં સ્થિત બે બહેનો દ્વારા દાખલ કરવામાં આવેલ જાતીય શોષણના મામલે સાક્ષીઓની રેકોર્ડિંગની તપાસ ઝડપી કરવાનું કહ્યું હતું.