વિજય માલ્યાએ કિંગફિશર નહીં જેટ એરવેઝમાં કરી મુસાફરી!!!
મુંબઇ, 26 સપ્ટેમ્બર : દસ દિવસ પહેલાં લંડનના હિથ્રો એરપોર્ટ પર મુંબઈ જતા જેટ એરવેઝ વિમાનમાં વિજય માલ્યાને ચડતા જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. એમને થયું કે કિંગફિશર એરલાઈનના તેમજ ખાનગી જેટ વિમાનોના માલિક કમર્શિયલ ફ્લાઈટમાં સફર કરે? અને તે પણ જેટ એરવેઝના, જે તેમની હરીફ એરલાઈન ગણાય.
આ દ્રશ્ય પરથી એવી અફવાઓને જોર પકડ્યું કે બેંગલોર સ્થિત ઉદ્યોગપતિ માલ્યાની પડતીના દિવસો વધુને વધુ જોર પકડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય કટોકટીને કારણે ભારત સરકારે કિંગફિશર એરલાઈન્સનું ફ્લાઈંગ લાઈસન્સ સ્થગિત કરી દીધું છે. અમુક સૂત્રોએ એવી ચોખવટ કરી છે કે માલ્યા પાસે ફન્ડ્સની કોઈ તંગી નથી. પોતાની લક્ઝરીયસ જરૂરિયાતોને પૂરી કરવા તેમની પાસે પૂરતા પૈસા છે.
તેમણે કમર્શિયલ ફ્લાઈટમાં સફર કરવી પડી એનું કારણ એ છે કે ભારતમાં હાલમાં ખાનગી જેટ વિમાનોના માલિકો માટે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. સલામતીની વ્યવસ્થામાં અમુક ક્ષતિઓ રહી જવાને પરિણામે યુરોપીયન સત્તાવાળાઓએ નિયમો ખૂબ કડક બનાવી દીધા છે. માત્ર મુકેશ અંબાણીને બાદ કરતાં બીજાં દરેક ઉદ્યોગપતિ કે વ્યક્તિએ ખાનગી ચાર્ટર વિમાનોને બદલે કમર્શિયલ ફ્લાઈટમાં જ યાત્રા કરવી પડે છે. અંબાણી સિવાય બીજા તમામના પ્રાઈવેટ જેટ ગ્રાઉન્ડેડ કરી દેવાયા છે.