Manipur Violence: મણિપુરમાં ફરીથી ભડકી હિંસા, એક પોલીસકર્મી સહિત 5ના મોત
Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર શરુ થયેલી હિંસામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. રિપોર્ટ મુજબ ફરી ભડકેલી હિંસામાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ હિંસામાં 12 લોકો ઘાયલ થયા છે.
ટોચના સરકારી અધિકારીએ જણાવ્યુ કે નાગરિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. મણિપુર સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા ચાર દિવસમાં આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશનમાં સુરક્ષા જવાનોએ 40 આતંકીઓને ઠાર કર્યા છે. પરંતુ આ દરમિયાન ફરી હિંસાના સમાચાર સામે આવ્યા છે.

તમને જણાવી દઈએ કે 3 મેના રોજ મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં કુલ 79 લોકો માર્યા ગયા હતા. મૈતેઇ સમુદાયને શેડુટે જનજાતિનો દરજ્જો આપવામાં આવતા હિંસા ભડકી હતી.
તાજેતરની હિંસામાં, એક કુકી આતંકવાદીએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ફાયેંગ ખાતે ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ અને અન્ય ઘાયલ થયો હતો તેમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીનું પણ મોત થયું છે, જ્યારે અન્ય એક ઘાયલ છે. બાકીના જે લોકો આમાં મૃત્યુ પામ્યા છે તેમની માહિતી મેળવવામાં આવી રહી છે.
રવિવારે સવારે કાકચિંદ જિલ્લાના સુગાનુ ખાતે પાંચ ગામમાં આવેલા કુકી સમુદાયના કેટલાક ઘરોમાં આગ લાગી હતી. અહેવાલો અનુસાર સ્થાનિક લોકોએ સેનાના જવાનોને અસરગ્રસ્ત ગામમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આવી જ બીજી ઘટના ભાજપના ધારાસભ્ય કેએચ રઘુમણિ સિંહના ઘરે બની હતી. ટોળાએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન બે લોકો ઘાયલ થયા હતા, જે બાદ પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
ફરીથી શરુ થયેલી હિંસાને પગલે ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વના જિલ્લાઓમાં કર્ફ્યુનો સમય લંબાવવામાં આવ્યો છે. અગાઉ સવારે 5 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રાહત આપવામાં આવી હતી પરંતુ હવે તે ઘટાડીને સવારે 11.30 કરી દેવામાં આવી છે. બિષ્ણુપુરમાં કર્ફ્યુ સવારે 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી હતો, જે હવે ઘટાડીને બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો.
અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે સ્થાનિક આતંકવાદી જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, બાદમાં અનેક સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે અમારી માહિતી મુજબ, સુગનુના કાકચિંગ, ચર્ચંદપુરમાં કંગવી, ઇમ્ફાલ પશ્ચિમમાં કંગચુપ, ઇમ્ફાલ પૂર્વમાં સાઇગોલમંગ, બિશેનપુરમાં નુંગોઇપોકપી, ઇમ્ફાલ પશ્ચિમમાં ખુરચુલ અને કાંગપોકપીમાં YKPI ખાતે ગોળીબાર થયો હતો.












Click it and Unblock the Notifications
