બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓની દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ, ત્રણના મોત!
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પ્રસંગે ઉગ્રવાદીઓએ પૂજા પંડાલો અને મંડપોમાં તોડફોડ કરી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે.
ઢાંકા, 14 ઓક્ટોબર : બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પ્રસંગે ઉગ્રવાદીઓએ પૂજા પંડાલો અને મંડપોમાં તોડફોડ કરી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. બાંગ્લાદેશના કોમિલ્લા જિલ્લામાં દુર્ગા પૂજા પંડાલમાં કુરાનના કથિત અપમાનની અફવાઓ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ વિસ્તારમાં હાલ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ કહ્યું છે કે કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામીનો દુર્ગા પૂજા પંડાલો સામે હિંસક હુમલાઓ કરવામાં હાથ હોઇ શકે છે. આ હિંસાને જમાત-એ-ઇસ્લામી (JEI) દ્વારા શેખ હસીના સરકારને બદનામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. આ પછી જ કુરાનની કથિત અપવિત્રતાને લઈને કોમી આગ ફાટી નીકળી હતી.
બાંગ્લાદેશ પોલીસે કહ્યું કે, ઘણા મંદિરો, મકાનો અને દુકાનોમાં તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક સમુદાયના આગેવાનોએ જણાવ્યું છે કે દુર્ગા પૂજા પ્રસંગે આ વિસ્તારમાં કોમી હિંસાની આ પહેલી ઘટના બની છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, ઢાંકા અને નવી દિલ્હીના રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર મુસ્લિમોના ધાર્મિક ગ્રંથોની કથિત રીતે 13 ઓક્ટોબરના રોજ બપોરે કોડીલામાં એક પંડાલમાં દેવી દુર્ગાની મૂર્તિના પગ પાસે અપવિત્રતા કરવામાં આવી હતી, જે બાદ મંદિરોમાં હુમલા થયા હતા. હાલમાં બાંગ્લાદેશમાં 3 હજારથી વધુ પંડાલોમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ કહ્યું કે, કુરાનની અફવા સોશિયલ મીડિયા પર ફેલાતાની સાથે જ હિંસા વધુ તીવ્ર બની હતી. સ્થાનિક લોકો દ્વારા નોઆખાલી, ચાંદપુર, કોક્સબજાર, ચટ્ટોગ્રામ, ચાપૈનવાબગંજ, પબના, મૌલવીબજાર અને કુરીગ્રામના નજીકના વિસ્તારોમાં દુર્ગા પૂજા પંડાલોમાં હિંસક હુમલાઓ કરવામાં આવ્યા હતા. જો કે, ઢાંકા, બ્રાહ્મણબારિયા, જશોર અને અન્ય મોટા શહેરોમાં કોઈ હિંસા નોંધાઈ નથી.