ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે જગદીપ ધનખડ અને માર્ગારેટ આલ્વા વચ્ચે ટક્કર, જાણો મતોનુ સમીકરણ
દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે જેના માટે આજે સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યુ છે. ચાલો જાણીએ આ ચૂંટણીમાં મતોનુ સમીકરણ-
નવી દિલ્લીઃ દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે જેના માટે આજે સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યુ છે. મતદાન સવારે 10 વાગ્યે શરૂ થયુ હતુ અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ મતોની ગણતરી કરવામાં આવશે. આ ચૂંટણીમાં NDAએ બંગાળના પૂર્વ ગવર્નર જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તેમની સામે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા મેદાનમાં છે. ચાલો જાણીએ આ ચૂંટણીમાં મતોનુ સમીકરણ-
મતદારોની સંખ્યા 780
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્યસભા અને લોકસભાના સભ્યો જ મતદાન કરે છે. લોકસભામાં 543 અને રાજ્યસભામાં 245 સભ્યો છે પરંતુ 8 બેઠકો ખાલી પડી છે. આ કિસ્સામાં, મતદારોની સંખ્યા 780 છે. જગદીપ ધનખડના નામની જાહેરાત પછી તૃણમૂલ કોંગ્રેસે કહ્યુ હતુ કે તે આ ચૂંટણીમાં ભાગ લેશે નહિ. હાલમાં તેની પાસે 36 સાંસદો છે તેથી 744 સાંસદો મતદાન કરે તેવી અપેક્ષા છે.
બિન એનડીએ દળોનુ મળ્યુ સમર્થન
એનડીએના સહયોગીઓની વાત કરીએ તો ધનખડને 527 વોટ મળી શકે છે. જ્યારે તેમને જીતવા માટે 372થી વધુ વોટની જરૂર છે. આવી સ્થિતિમાં ધનખડને જે વોટ ટકાવારી મળશે તે લગભગ 70 ટકા હશે. જે એમ. વેંકૈયા નાયડુને મળેલા વોટ કરતા બે ટકા વધુ છે. એનડીએ પાસે હાલમાં 441 સાંસદો છે પરંતુ ધનખડને અન્ય કેટલાક બિન-NDA પક્ષોનું સમર્થન પણ છે. જેમાં નવીન પટનાયકનુ બીજુ જનતા દળ, જગનમોહન રેડ્ડીની YSR કોંગ્રેસ, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી, અકાલી દળ અને શિવસેનાના એકનાથ શિંદે જૂથનો સમાવેશ થાય છે. આ પક્ષોના મળીને 81 સાંસદો છે.
આલ્વાને 26 ટકા વોટની આશા
માર્ગારેટ આલ્વા પાસે 26 ટકા (લગભગ 200) મત મળવાની ધારણા છે. તેમને કોંગ્રેસ, એમકે સ્ટાલિનની ડીએમકે, લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષોનુ સમર્થન છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોરચા, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, આમ આદમી પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નવ સાંસદો અલ્વાને સમર્થન આપી રહ્યા છે. ગત ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને 32 ટકા મત મળ્યા હતા.