Weather Update:આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હિમાચલના 4 જિલ્લામાં રેડ એલર્ટ
છેલ્લા બે દિવસોમાં હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે, અત્યાર સુધીમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પુરમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે.
છેલ્લા બે દિવસોમાં હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે, અત્યાર સુધીમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પુરમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 500 કરોડનું નુકસાન થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને આઠ જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તરાખંડના આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 2 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. શુક્રવારે ઉત્તરકાશી, દહેરાદૂન, ટિહરી, પૌડી, નૈનીતાલ, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે ઓરેન્જ એવર્ટ કર્યુ છે. આ ઉપરાંત દહેરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર અને પિથોરાગઢમાં શનિવાર અને રવિવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે, અહીં ભારે વરસાદ પડી શકે છે.

મધ્યપ્રદેશના 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ (આઇએમડી) એ મધ્યપ્રદેશના 15 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. રાજ્યના ટીકમગઢ, છતરપુર, સાગર, દતિયા, શિવપુરી, અનુપપુર, ડિંડોરી, નીમચ, મંદસૌર, રતલામ, બાલાઘાટ, મંડલા, શ્યોપુર, મુરેના અને ભીંડ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં 64.5 mm થી 115.5 mm વચ્ચે વરસાદ પડી શકે છે.

રાજસ્થાનના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ માટે રેડ અને ઓરેંજ એલર્ટ આપી ભારે વરસાદની આગાહી કરી છે. નાગૌર, સીકર અને અજમેર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને આ સ્થળો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જયપુર, ઝુંઝુનુ, ટોંક, કોટા, ભીલવાડા, બારા, ચુરુ અને ઝાલાવાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેના માટે હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જારી કરાયુ છે.

હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પરિસ્થિતિની સમિક્ષા કરશે
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ લાહૌલમાં ટોજીંગ નાળામાં 10 અને કુલ્લુમાં બ્રહ્મગંગામાં 4 વ્યક્તિઓ તણાયા હતા. ટોજીંગ નાળામાંથી 7 લાશ મળી આવી છે, જ્યારે ત્રણની શોધખોળ ચાલુ છે. આ સાથે જ કુલ્લુની બ્રહ્મગંગામાં પૂરમાં લાપતા 4 લોકોની શોધખોળ ચાલી રહી છે. લાહૌલ-સ્પીતીના ઉદેપુરમાં ફસાયેલા પંજાબ અને હિમાચલના 50 થી વધુ પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર આજે (30 જુલાઈ) લાહૌલનો હવાઈ પ્રવાસ કરી પરિસ્થિતિનો તાગ મેળવશે.












Click it and Unblock the Notifications
